રાજકોટ,તા.૮: રાજકોટ આર્ટ સોસાયટીના કારોબારી સભ્યો તરીકે ઉમેશ કયાડા, અવિનાશ ઠાકર, નવનીત રાઠોડ, વિરેશ દેસાઈ તેમજ જયેશ શાહ અને સલાકાર સમિતિના સભ્યો તરીકે મહેન્દ્ર પરમાર, સજજાદ કપાસી, અશ્વિન ચૌહાણ, શરદ રાઠોડ તેમજ મીતાબેન ભટ્ટની વરણી કરવામાં આવી છે.
રાજકોટ આર્ટ સોસાયટીની કલાપ્રવૃતિના ભાગરૂપે શહેરમાં સૌપ્રથમ જ સ્થાનિક ૩૩ જેટલાં નામાંકિત કલાકારોની કૃતિઓના એક ભવ્ય પ્રદર્શનનું આયોજન 'આગાઝ' શિર્ષક હેઠળ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં રાજકોટ આર્ટ સોસાયટીનાં ૨૯ સભ્યો તેમજ ૪ માનદ વરિષ્ઠ સભ્યોની કલાકૃતિઓ રજુ કરવામાં આવી છે. જેમાં ચિત્રકાર, શિલ્પકાર તેમજ ફોટોગ્રાફરનો પણ સમાવેશ થાય છે. આ કલાકારોમાં અશોક બાબર, એશકોલ મોઝેસ, અશ્વિન ચૌહાણ, અવિનાશ ઠાકર, અયુબ ખાન બ્લોચ, બળવંતી જોષી, ભાવેશ ત્રિવેદી, ભુપત લાડવા, ધર્મેન્દ્ર સાહની, દિપ્તી શુકલ, આઈ. ડી. વ્યાસ, જયેશ શાહ, જયેશ શુકલ, જગદીશ ચૌહાણ, કૌશિક જડીયા, કિશોર વાળા, મહેન્દ્ર પરમાર, મનોજ ગોહિલ, મીતા ભટ્ટ, મુકેશ ડોડીયા, નવનીત રાઠોડ, નિખિલ પીલોજપરા, પ્રભાતસિંહ બારહટ, પ્રતાપસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, શરદ રાઠોડ, સુરેશ રાવલ, સજ્જાદ કપાસી, તુષાર પટેલ, ઉમેશ કયાડા, વિરેશ દેસાઈ, વિપુલ રાઠોડ અને વિનોદ મોરીધરા જેવા અગ્રણી કલાકારો ભાગ લઈ રહ્યા છે.
'આગાઝ' કલા પ્રદર્શન તા.૧૩ થી શરૂ કરીને તા.૧૬ (મંગળ થી શુક્ર) સુધી સવારના ૧૦ થી બપોરે ૧ સુધી અને સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ, રાજકોટ ખાતે જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રહેશે.
આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કલાકારો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રદર્શનોમાં ભાગ લઈ પારીતોષીક મેળવી રાજકોટનું નામ કલાક્ષેત્રે રોશન કરેલ છે. તમામ કલાકારોએ તેમની કૃતિઓના પ્રદર્શન રાજય તેમજ દેશના અગ્રણી શહેરોમાં કરેલ છે. તદુપરાંત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના કલા પ્રદર્શનોમાં કલા શિબિરો, કલા વાર્તા, ઓકશન અને નિદર્શન વગેરેમાં ભાગ લઈ સતત પ્રવૃત રહેલ છે. અનેક નામી સંસ્થાઓના તેમજ પ્રાઈવેટ અને પબ્લિક કલેકશનમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે.
રાજકોટ શહેરના આવા નામાંકિત તેમજ સુપ્રસિદ્ધ તમામ કલાકારોનું એક જ મંચ પર યોજાયેલ પ્રદર્શન આગાઝ આગામી દિવસોમાં અનેક પ્રવૃતિઓનું પ્રથમ ચરણ બની રહેશે.
ઉપરોકત ઉમદા હેતુ સાથે આ વર્ષના પ્રથમ મહિનામાં રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી ે. શહેરમાં રેસકોર્ષ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની મરામત કરવા તથા તેને રાષ્ટ્રીય કક્ષાની અદ્યતન ગેલેરી બનાવવા અને ફકત કલાપ્રવૃતિઓ માટે જ તેનો ઉપયોગ કરવા પાયાની જરૂરીયાતરૂપે મેયર તથા કમિશ્નર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સતત રજૂઆત કરી પ્રાથમિક રીપેરીંગ કામ શરૂ કરવામાં આવેલ છે.
આ કલા પ્રદર્શનને પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, શ્રી કિશોર ત્રિવેદી, જસદણના રાણી સાહેબા અલોકિકારાજે ખાચર, ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.
આ પ્રદર્શન અંગે વધુ માહિતી માટે ઉમેશભાઈ કીયાડા (મો.૮૮૬૬૦ ૦૫૫૦૨)નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)