Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ડો. કમલેશ જોશીપુરા અને તામીલનાડુ સૌરાષ્ટ્રીયન સાથે મુલાકાત

શિક્ષણની તકો અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા અનુરોધ

 

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પોંડેચેરી મુલાકાત સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાની આગેવાની હેઠળ મળેલ પ્રતિનિધિ મંડળની તસ્વીર. (૭.ર૬)

રાજકોટ તા. ૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની પોંડીચેરી ખાતેની મુલાકાત દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફે. ડો. કમલેશ જોશીપુરાની આગેવાનીમાં ટોચના પ્રતિનિધિ મંડળની બેઠક પોંડીચેરી એરપોર્ટ લોન્જ ખાતે આયોજિત થયેલી. અત્યંત વ્યસ્ત અને ભરચક કાર્યક્રમો વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ સમય ફાળવી આ પ્રતિનિધિ મંડળને મળી ચર્ચા વિચારણા કરી હતી.

ડો. કમલેશ જોશીપુરાની આગેવાની હેઠળ તામીલનાડુના સૌરાષ્ટ્રીયન ધારાસભ્યશ્રી સર્વનન, સૌરાષ્ટ્ર મધ્ય સભાના પ્રમુખ રામશંકર, મહામંત્રી આર. બી. રામાસુભ્રમણીયમ અને સુરેન્દ્રનના બનેલા પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ તામીલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાયની શૈક્ષણિક ક્ષેત્રની તકોના વિકાસ સંદર્ભે ખાસ ચર્ચા કરી હતી, વર્તમાનમાં સૌરાષ્ટ્રીયન સમુદાય દ્વારા ઘણાં બધા સ્થાનો ઉપર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સફળતાપૂર્વક ચાલી રહેલ છે તેનો વ્યાપ અને વિસ્તાર વધારવા અર્થે સામુદાયીક પ્રયત્નો કેવી રીતે વધારી શકાય તે અર્થોેની વિગત રજૂ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાએ ખાસ કરીને સૌરાષ્ટ્રીયન યુવા મિત્રોના ગુજરાત સાથેના આદાનપ્રદાન માટેની પૂરી વિગત રજૂ કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ પ્રતિનિધિમંડળને ખાસ શીખ આપાં આહવાન કરતાં જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે અને તેમાં પણ ખાસ કરીને જનધન યોજના, ર્સ્ટાટઅપ યોજના સહિતની વ્યાપાર માટેની પ્રોત્સાહક યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવાયેલ છે તેનો લાભ તામીલનાડુના દૂરસુદૂર વસતા સમાજના પ્રત્યેક લોકો સુધી પહોંચાડવા સૌરાષ્ટ્ર મધ્ય સભાને વધુ કાર્યરત થવા જણાવેલ.

ડો. કમલેશ જોશીપુરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શૈક્ષણિક ક્ષેત્રમાં ચાલી રહેલ સંશોધનોની પ્રગતિની વિગતો આપી હતી, ડો. જોશીપુરા પોંડીચેરી ખાતે શૈક્ષણિક ક્ષેત્રના દેશના અગ્રણી ચિંતકોની બેઠકમાં હાજરી આપવા અર્થે પોંડીચેરી ગયેલા હતા અને વડાપ્રધાનશ્રીના કાર્યાલયને વિનંતી કરતાં વિના વિલંબે ખાસ કાળજી અને લાગણી રાખી વડાપ્રધાનશ્રીએ સમય ફાળવ્યો હતો.

(4:17 pm IST)