Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સ્ટોન કિલરની હત્યાનો ભેદ ઉકેલાવાની અણી પરઃ એક શકમંદ સકંજામાં, બે શખ્સની શોધખોળ

હત્યાનો ભોગ બનનારના ફોનમાંથી જ પોલીસ-૧૦૮ને ફોન કરી હત્યારાએ લાશ પડી હોવાની જાણ કરી હતી : ભિક્ષુકોને વીણી-વીણીને મારવાનું ૨૦૦૯માં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયાએ નક્કી કરી ત્રણ ભિક્ષુકોને ઢાળી દીધા'તા

રાજકોટ તા. ૮: મવડી પ્લોટ નવરંગપરા-૧૧માં આવેલા કારખાનાની છત પરથી ગઇકાલે એક સમયના સ્ટોન કિલર ગણાતાં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો મનગભાઇ સનુરા (પ્રજાપતિ) (ઉ.વ.૪૯)ની માથામાં પથ્થર ફટકારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં માલવીયાનગર પોલીસને સફળતા મળી છે. પોલીસે એક શકમંદને સકંજામાં લઇ લીધો છે અને બીજા બે ત્રણની શોધખોળ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળીયો અગાઉ વર્ષ ૨૦૦૯માં ત્રણ ભિક્ષુકોની પથ્થર ફટકારી હત્યા કરવાના ગુનામાં સાગ્રીત બાદલ ભૈયા સાથે જે તે વખતે પકડાયો હતો. તેની હત્યા પણ પથ્થર ફટકારીને કરવામાં આવી છે.

માલવીયાનગર પોલીસે આ બારામાં હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળુના ભાઇ ભરતભાઇ મગનભાઇ સનુરા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળુ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ તથા અપરિણીત હતો. તેની સાથે પરિવારજનોને ભળતું ન હોઇ તે હાલમાં નવરંગપરામાં ગમે ત્યાં રહેતો હતો અને કારખાનાઓમાં મજૂરી કરી લેતો હતો. કારખાનાની છત પર જ તેની કોઇએ હત્યા કરી નાંખ્યાનું સ્પષ્ટ થયું હતું.

માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, અશ્વિનભાઇ કાનગડ, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, ચિરાગભાઇ કલોલા અને અરૂણભાઇ ચાવડા, મયુરભાઇ મિંયાત્રા સહિતે ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ગેડમની રાહબરીમાં તપાસ શરૂ કરી શકમંદોને ઉઠાવી લીધા હતાં. જેમાં એક આરોપી સામે આવ્યો છે. બાકીના અન્ય બે-ત્રણની શોધખોળ થઇ રહી છે. મહેફીલમાં માથાકુટ થતાં હત્યા  થયાની શકયતા છે. જો કે અન્ય આરોપી ક્રાઇમ બ્રાંચની નજરમાં હોઇ તેને ઉઠાવી લીધા બાદ બીજુ કારણ પણ સામે આવવાની શકયતા છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જશે. હત્યાનો ભોગ બનનારના મોબાઇલમાંથી જ હત્યારાઓએ પોલીસ કન્ટ્રોલ રૂમ અને ૧૦૮ને ફોન કરીને દુબઇ કારખાના ઉપર લાશ હોવાની જાણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે હત્યાનો ભોગ બનનાર સ્ટોન કિલરને ભિક્ષુકો પ્રત્યે સુગ હતી. તે ૨૦૦૯માં વીણી વીણીને ભિક્ષુકોને મારવા ઇચ્છતો હતો. હત્યા બાદ તે સાગ્રીત સાથે મળી મૃતકની લાશ પર સદાવ્રતનું ભોજન રાખીને ખાતો હોવાની પણ વાત છે.

(3:41 pm IST)