Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શહેરના માં કાર્ડ કેન્‍દ્રોમાં વિજળીક હડતાલ : અરજદારોને મહામુશ્‍કેલી

મ.ન.પા. અને કલેકટર વચ્‍ચે ચલક ચલાણુ : માં કાર્ડના ઓપરેટરોનો પગાર ૩ મહિનાથી લટક્‍યો : પગાર વધારો - નિયમીત પગાર - મેન્‍ટેનન્‍શ સહિતના પ્રશ્નોથી ત્રાહીમામ કર્મચારીઓએ હડતાલનું શષા ઉગામ્‍યુ : કલેકટરને આવેદન પાઠવી યોગ્‍ય કરવા ઉગ્ર માંગ

માં કાર્ડ કેન્‍દ્રો ઠપ્‍પ : માં અમૃતમ અને માં વાત્‍સલ્‍ય કાર્ડ કેન્‍દ્રના ઓપરેટરોને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નહી મળતા આજે સવારથી જ વિજળીક હડતાલ પાડી દીધી હતી. તે વખતની તસ્‍વીરમાં કામગીરી ઠપ્‍પ થતાં કેન્‍દ્રમાં અરજદારોની ભીડ જામી હતી તે નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં આ બાબતે ઓપરેટરોએ કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું તે વખતે સામાજીક કાર્યકર યોગેશ માખેચા ઉપસ્‍થિત રહેલ તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : ગરીબ અને મધ્‍યમ વર્ગ માટે ગંભીર બિમારીઓમાં સંજીવનીરૂપ એવા માં વાત્‍સલ્‍ય કાર્ડ અને માં અમૃતમ્‌ કાર્ડના કેન્‍દ્રોમાં આજે સવારે ઓપરેટરોએ પગાર પ્રશ્ને એકાએક વિજળીક હડતાલ પાડી દેતા અરજદારોને મહામુશ્‍કેલી સર્જાઇ હતી. આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ મ.ન.પા. દ્વારા સંચાલીત પાંચ માં કાર્ડ કેન્‍દ્રોના ઓપરેટરોને છેલ્લા ત્રણ-ત્રણ મહીનાથી પગાર નહી મળતા. આ સમસ્‍યાથી કંટાળી અને ઓપરેટરોએ આજે સવારે એકાએક વિજળીક હડતાલ પાડી દીધી હતી.

પરિણામે આ પાંચેય કેન્‍દ્રોમાં માં કાર્ડ કઢાવવા આવેલા અરજદારોને ધરમધક્કા થયા હતા. કેમકે સમગ્ર કામગીરી ઠપ્‍પ થઇ ગયેલ. દરમિયાન માં કાર્ડ ઓપરેટરોએ તેઓના પગાર સહિતના પ્રશ્નોની રજૂઆત કલેકટરને આવેદન પાઠવીને કરી હતી.

આ આવેદનમાં જણાવાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી આખા રાજકોટ શહેરના અમૃતમ કાર્ડના કર્મચારીઓ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે. અમારી માંગ છેલ્લા ઘણા વર્ષથી વેતન વધારાની માંગ પૂરી કરી શક્‍યા નથી તેમજ નિયમ અનુસાર નિયમિત વેતન પણ મળતું નથી અવાર-નવાર કોમ્‍પ્‍યુટર બંધ રહે છે તથા તેનું મેન્‍ટનેસનું મહેનતાણુ પણ અમોને હજુ સુધી મળેલ નથી. અને અમોને વેતન ખૂબ જ ઓછું આપે છે અને રાજકોટમાં અમૃતમ કાર્ડની કામગીરી ફકત પાંચ કેન્‍દ્રોમાં જ થાય છે. આ માટે તેના કેન્‍દ્રો વધારવાની અમારી માંગ છે. આ માટે ઘણા બધા લાભાર્થીઓને કેન્‍દ્રો ઓછા હોવાથી મુશ્‍કેલી અનેક પડે છે તેમજ લાભાર્થીઓને સમયસર આરોગ્‍ય માટેની હોસ્‍પિટલમાં લાભાર્થી પણ સમયસર મળી નથી શકતો જ્‍યાં સુધી આ માંગણીઓ પૂરી ન થાય ત્‍યાં સુધી અનિતિ મુદતની હડતાલ પર જઇએ છીએ.

આ રજૂઆતમાં સોલંકી વિજય, પરમાર વિશાલ, ભટ્ટી મનીષ, સાવલીયા ચિરાગ વિગેરે જોડાયા હતા.

અત્રે નોંધનિય છે કે મ.ન.પા.ના આરોગ્‍ય કેન્‍દ્રમાં માં કાર્ડની કામગીરીનું માત્ર સંચાલન થાય છે તેનાં ઓપરેટરો રાજ્‍ય સરકાર દ્વારા નિયુક્‍ત મેનપાવર કોન્‍ટ્રાકટ એજન્‍સી મારફત મુકાયા છે. તેથી ઉપરોકત પગાર સહિતના પ્રશ્નો રાજ્‍ય સરકાર જ ઉકેલી શકે તેવો જવાબ મ.ન.પા.ના અધિકારીઓ આપી રહ્યા છે. જ્‍યારે કલેકટર તંત્રના અધિકારીઓ તપાસ કરશું તેવો સરકારી જવાબ આપી રહ્યા છે.

આમ, બે સરકારી તંત્ર વચ્‍ચે ઓપરેટરોનો પગાર લટકયો છે તેની સાથે જ માં કાર્ડ કઢાવવું જેના માટે અત્‍યંત જરૂરી હોય તેવા નિર્દોષ અરજદારો પણ આ મહામુશ્‍કેલીમાં ફસાયા છે ત્‍યારે વહેલી તકે આ સમસ્‍યા ઉકેલી માં કાર્ડ કેન્‍દ્રો શરૂ કરવા અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.

(3:22 pm IST)