Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

લવમેરેજ કરનાર હર્ષ કારેલીયાનો આપઘાત

મોરબી રોડ સેટેલાઇટ ચોકના આશિર્વાદ એપાર્ટમેન્ટમાં બનાવ : આઠ માસ પહેલા જ પરણ્યો હતો : યુવતિને તેના માવતર લઇ ગયા બાદ પગલું : યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૬ : મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવેલા આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  મળતી વિગત મુજબ સેટેલાઇટ ચોક પાસે આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટના ચોથામાળે રહેતા હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.૨૨) નામના લુહાર યુવાને પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો યુવાનન લટકતી હાલતમાં જોઇ તાકીદે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી વિજયભાઇ ગઢવીએ તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વી.કે.સોલંકી તથા રાઇટર કિશનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક બે ભાઇમાં નાનો હતો. તે લુહારી કામ કરતો હતો. તેણે આઠ માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીને તેના માવતર લઇ ગયા બાદ યુવાને આ પગલુ ભરી લીધું હતું. યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:25 pm IST)