Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ધર્મ હંમેશા સમાધિ આપે, અધર્મ હંમેશા ઉપાધિ આપે : રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવનું મહાનગરી મુંબઇમાં આગમન : ભવ્‍ય સ્‍વાગતયાત્રા

રાજકોટ તા. ૬ : મુંબઈવાસીઓની લાંબી પ્રતિક્ષા પછી પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનને વધાવતા ઘાટકોપરના અનન્‍ય ગુરૂભક્‍ત જલ્‍પાબેન નિલેશભાઈ મહેતા પરિવારના આંગણેથી ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત યાત્રા યોજાઇ હતી.

ભાવિકોએ પોતાના મસ્‍તક પર ધરેલાં આગમ ગ્રંથો, બાળકોની નૃત્‍ય ભક્‍તિ, પ્રાણીઓની વેશભૂષામાં સ*થઈને ગુરુ ભગવંતને આવકારતા બાળકો, પ્રેરણાત્‍મક street play, અષ્ટમંગલના પ્રતિક આદિ અનેક વિવિધતાઓથી શોભતી આ સ્‍વાગત યાત્રામાં શ્રી ઘાટકોપર સહિત મુંબઈભરના અનેક જૈન સંઘ પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહાનુભાવો સાથે બહોળી સંખ્‍યામાં ભાવિકો અંતરના ઉમળકા સાથે જોડાયાં હતાં. ઘાટકોપરના રાજમાર્ગોને ગુંજવતી આ સ્‍વાગતયાત્રા પારસધામના આંગણે પધારતા પરમ ગુરુદેવને અત્‍યંત શ્રદ્ધાભાવે આવકારવામાં આવ્‍યાં હતાં.

આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ, ડો. પૂજય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ, પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી ઊર્મિબાઈ મહાસતીજી - પૂજય શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજી, પૂજય શ્રી સોનલબાઈ મહાસતીજી આદિ સાધ્‍વીવૃંદ આદિ વિશેષ ભાવો સાથે ઉપસ્‍થિત રહ્યાં હતાં. પારસધામ સંઘ પ્રમુખ શ્રી વિરલભાઈએ પરમ ગુરુદેવનું સ્‍વાગત અને ઋણ સ્‍વીકૃતિ કરી હતી.

પારસધામમાં શ્રી ઉવસગ્‍ગહર સ્‍તોત્રના બ્રહ્મ ગુંજારવ સાથે પરમ ગુરુદેવે બોધવચન ફરમાવ્‍યા હતા કે, આ જગતમાં આજ સુધી જે કોઈપણ સુખી થયાં છે તે માત્ર ને માત્ર ધર્મના કારણે સુખી થયાં છે અને જેટલાં પણ આત્‍મા દુઃખી થઈ રહ્યાં છે તે માત્ર અધર્મના આચરણથી જ દુઃખી થયા છે. સુખનું એકમાત્ર કારણ ગુડલક અથવા ગુડવર્ક જ હોઈ શકે, ચાહે તે ભૂતકાળના હોય કે વર્તમાનના હોય. પરમાત્‍મા કહે છે, ધર્મ હંમેશા સમાધિ આપે છે પરંતુ અધર્મ હમેશા ઉપાધિનું કારણ બને છે.

આ અવસરે ડો. પૂજય શ્રી આરતીબાઈ મહાસતીજીના સુંદર પ્રવચન ઉપરાંત લુક એન લર્નના બાળકો દ્વારા ભક્‍તિ નૃત્‍યગીતની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.

પરમ ગુરૂદેવની ૩૨મી દીક્ષા જયંતિ નિમિત્તે આગામી તારીખ ૮ થી ૧૨ ફેબ્રુઆરી સુધી પારસધામમાં ‘પરમ આનંદ ઉત્‍સવ' આયોજિત કરવામાં આવ્‍યો છે. જેમાં આત્‍મિક આનંદની અનુભૂતિ કરાવનારા અનોખા અવસર અંતર્ગત તારીખ ૮ ફેબ્રુઆરી સવારના ૮.૦૦ કલાકે ‘આનંદ ક્‍યાં?' અવસરની સાથે સાંજે ૭.૩૦ કલાકે તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના ૨૫મી પુણ્‍યસ્‍મૃતિ અવસરે એમના જીવન આધારિત એક અદ્‌ભૂત નાટિકા ‘મહાપુરૂષ'ની પ્રસ્‍તુતિ થશે. આ બંને કાર્યક્રમ ‘પરમ પટાંગણ' ડી.જે. દોશી ગુરુકુલ હાઇસ્‍કુલ, તિલક રોડ, ઘાટકોપર(ઇસ્‍ટ) ખાતે યોજાશે.

તેમજ દરરોજ રાત્રે ૮.૩૦ કલાકે પરમ ગુરૂદેવના શ્રીમુખેથી પરિગ્રહ વિષય પર નિતનવા રહસ્‍ય ઉઘાડતા પ્રવચનોનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગુરુના સાંનિધ્‍યે આયોજિત દરેક કાર્યક્રમમાં જોડાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(4:11 pm IST)