Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જનતા જાગૃત તો ભ્રષ્ટાચાર નાબુદઃ હસમુખ પટેલ

રાજકોટમાં એન્ટીકરપ્શન બ્યુરોનો લોકદરબાર યોજાયોઃ સરકારી બાબુઓને જનતા હરગીઝ લાંચ ન આપે : લાંચીયા અધિકારી-કર્મચારીઓની માહિતી આપતા અચકાવ નહિઃ જાહેર સેવાઓના ભ્રષ્ટાચાર અંગે પણ માહિતી આપોઃ અધિક નિયામક હસમુખ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર નાબુદી માટે આગળ આવી માહિતી આપનાર ફરીયાદીઓનું સન્માન રૂબરૂ ફરીયાદ ન આપવી હોય તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને વોટસએપ નંબર ૯૦૯૯૦ ૧૧૦પપ ઉપર માહીતી આપોઃ મદદનીશ નિયામક એ.પી.જાડેજા

રાજકોટઃ આજે સવારે આત્મીય કોલેજ ખાતે રાજયના લાંચ રૂશ્વત વિરોધી દળનો લોક દરબાર અધિક નિયામકશ્રી હસમુખ પટેલના વડપણ હેઠળ યોજાયો હતો. પ્રથમ તસ્વીરમાં લોક દરબારનું દિપ પ્રાગટય થકી ઉદઘાટન કરતા અધિકારીઓ નજરે પડે છે. બીજી તસ્વીરમાં ભ્રષ્ટાચાર સામે જાગૃત બનવા લોકોએ કઇ કઇ રીતે આગળ આવવું જોઇએ તે વિષે કાયદાકીય અને નાગરીક અધિકારીતાની તલસ્પર્શી સમજ આપતા શ્રી હસમુખ પટેલ અને નીચેની તસ્વીરમાં ઉપસ્થિત અગ્રણીઓ અને નાગરીકો નજરે પડે છે. આ તકે ભ્રષ્ટાચાર ડામવા ફરીયાદી બની આગળ આવેલા ર૦ જેટલા જાગૃત લોકોનું સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંતિમ તસ્વીરમાં આભારવિધિ કરી રહેલા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી એ.પી.જાડેજા નજરે પડે છે.

રાજકોટ, તા., ૬:  આજે રાજકોટમાં રાજય એન્ટીકરપ્શન વિભાગના અધિક નિયામક શ્રી હસમુખ પટેલ (આઇપીએસ) દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં ઉપસ્થિત ૪૦૦ જેટલા નાગરીકો સાથે સીધો સંવાદ સાધતા તેઓએ જણાવેલ કે, લોકો જાગૃત બને તો ભ્રષ્ટાચાર નાબુદ થઇ જાય. લોકશાહીમાં તમારા અધિકારો સમજી તમારી સાથે કે આસપાસ ચાલી રહેલા ભ્રષ્ટાચારની માહિતી આપવા આગળ આવવા તેમણે અપીલ કરી હતી.

આ લોક દરબારમાં ચેમ્બર ઓફ કોમર્સ, બિલ્ડર એસોસીએશન અને તબીબ એસોસીએશન સહિતના અગ્રણીઓ અને આમ નાગરીક ઉપસ્થિત રહયા હતા. શ્રી હસમુખ પટેલ દ્વારા એન્ટીકરપ્શન વિભાગની કાર્યપધ્ધતી અને તેમાં લોકોના સહયોગનું સ્થાન શું? તે વિષે તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી. તેઓએ કહયું હતું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓ તમારા સેવક છે, તમારૂ ઓફીશ્યલ કાર્ય કરવુ તેમની ફરજ છે અને આ માટે તેમને સરકાર પગાર આપે છે માટે તમારા કામ માટે 'લાંચ' આપવાની હરગીઝ જરૂર નથી. લોકોમાં હવે  લાંચીયા વૃતિન સ્વીકારી લેવાની માનસીકતા ઘર કરી ગઇ છે જે દેશને ખોખલો બનાવવા પુરતી છે. રોડ-રસ્તા-પાણી-ગટર જેવી જાહેર સેવાના દેખીતા ભ્રષ્ટાચાર અંગે પણ તમે ગુપ્ત રીતે કે જાહેરમાં માહીતી કે ફરીયાદ એન્ટીકરપ્શન વિભાગને આપી શકો છો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર પણ તમે ટેલીફોનીક માહીતી આપી શકો છો. છેલ્લા બે વર્ષ દરમિયાન રાજકોટ એકમમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા મહત્વના નિવડેલા ફરીયાદીઓ અને માહીતી આપનાર જાગૃત નાગરીકોનું આ તકે સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. લોક દરબારનું સંચાલન રાજકોટ એન્ટીકરપ્શન વિભાગના મદદનીશ નિયામક શ્રી એ.પી.જાડેજાએ કર્યુ હતું. લોક દરબારમાં રાજકોટ રૂરલ એસીબીના પીઆઇ અને કચ્છ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલ, મોરબી એસીબી પીઆઇ આર.વાય. રાવલ અને રાજકોટ શહેર એસીબીના પીઆઇ ડી.ડી.ચાવડા, જામનગર એસીબીના એન.કે.વ્યાસ અને દ્વારકા એન્ટીકરપ્શન વિભાગના સી.કે.સુરેજા ઉપસ્થિત રહયા હતા.

(4:06 pm IST)