Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

તબિબી શિક્ષકોની રેલીઃ કલેકટરને આવેદન

૧૬મેએ સરકારે ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો ઠરાવ કર્યો હતોઃ છ મહિના પછી પણ ૯ મુદ્દામાં કોઇ કાર્યવાહી ન થઇઃ એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ, પ્રમોશન, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવીઃ ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગણી

ન્યાય આપોઃ પીડીયુ સિવિલ હોસ્પિટલના તબિબી શિક્ષકો અને સરકારી ડોકટરોએ પોતાને થઇ રહેલા અન્યાય અંતર્ગત રેલી યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ( ફોટો-સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો અને જીલ્લાના ૫ીએચસી-સીએચસીના તબિબો મળી દસ હજાર તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નો અંગે થઇ રહેલા અન્યાય સામે આંદોલન ચલાવી રહ્યા છે. તે અંતર્ગત આજ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબી શિક્ષકો અને જીલ્લાના આરોગ્ય કેન્દ્રના તબિબોએ એકઠા થઇ અલગ અલગ બેનર સાથે સુત્રોચ્ચાર કરી સિવિલ હોસ્પિટલથી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

વિવિધ મુદ્દે થઇ રહેલા અન્યાય સામે જીએમટીએ-ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન, જીએમઇઆરએસ ફેકલટી એસોસિએશન, ગિડા-ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સ એસોસિએશન, જીએમએસ કલાસ-૨ એમઓ એસોસિએશનના રાજ્યભરના ૧૦ હજાર તબિબોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તે અંતર્ગત રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ, પીએચસી, સીએચસીના ૩૩૦ તબિબોએ આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ અલગ અલગ બેનર્સ પ્રદર્શીત કરી સુત્રોચ્ચાર કરી પોતાની ન્યાયી માંગણીઓ સરકાર પુરી કરે તેવી રજૂઆત કરી હતી અને રેલી યોજી કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

તબિબી શિક્ષકો-સરકારી તબિબોએ રજૂઆતમા઼ જણાવ્યું છે કે તબિબી એસોસિએશન દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર્સ ફોરમની રચના કરવામાં આવી છે અને તેના નેજા હેઠળ સંયુકતપણે આંદોલન કરશે. રાજકોટ મેડિકલ કોલેજના ૧૮૦ તબિબી શિક્ષકો અને રાજકોટ જીલ્લાના પીએચસી-સીએચસીના તાલુકા-જીલ્લાની હોસ્પિટલોના ૧૫૦ સરકારી તબિબો મળી કુલ ૩૩૦ તબિબો આંદોલનમાં જોડાયા છે.

ગત તા. ૧૬-૦૫-૨૧ના રોજ વિજયભાઇ રૂપાણીની સરકારે તબિબી શિક્ષકોની ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. તેને આજે ૬ મહિના વીતી ગયા હોવા છતાં ૯ માંગણીઓમાં કોઇ કાર્યવાહી જ થઇ નથી. આ નવ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો. સહિતના એકપણ પ્રશ્નનો ઉકેલ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યો નથી.

વધુમાં જણાવાયું છે કે તા. ૨૨-૧૧-૨૧ના રોજ પણ એક નવો ઠરાવ કરાયો છે. જેમાં મહત્તમ પગાર રૂ.૨,૩૭,૫૦૦થી ઘટાડી રૂ. ૨,૨૪,૫૦૦થી ઘટાડીને રૂ. ૨,૨૪,૫૦૦ કરી નાંખ્યો છે! આ જ ઠરાવમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારે આપેલા પર્સનલ પેનો લાભ પણ પરત ખેંચી લેવાયો છે. તા. ૨૨-૧૧ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એક જ નંબરના ૩ ઠરાવ કરી ગુજરાતના તમામા તબિબો માટે આ મહત્તમ પગારની મર્યાદા ૨,૨૪,૫૦૦ કરી નાંખવામાં આવી છે.

આ ઉપરાંત વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે મે-જુન ૨૦૨૧ દરમિયાન જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશન, જીઆઇડીએ, જીએમસ, કલાસ-૨ મેડિકલ ઓફિસર્સ એસોસિએશનને આપેલા એક પણ વચનો સરકારે પુરા કર્યા નથી. આ કારણે નાછુટકે તબિબી શિક્ષકો-તબિબોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. તે અંતર્ગત છ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. જેમા કેમ્પસ ધરણા, કેમ્પસ રેલી,  રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે વિશાલ રેલી યોજી કલેકટરશ્રીને આવેદન પાઠવી ન્યાય અપાવવા અરજ કરી હતી.

કોરોના કાળમાં તબિબોએ જીવના જોખમે ફરજ બજાવી છે તેને ધ્યાને રાખી સરકાર તબિબોની લાગણી અને માંગણીને યોગ્ય ગણી ઉકેલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી છે. 

(2:52 pm IST)