Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કેન્‍દ્ર સરકાર જૂના આઇ.ટી. એકટને બદલીને નવો ડિજિટલ ઇન્‍ડિયા એકટ લાવશે : રાજ્‍યમંત્રી રાજીવ ચંદ્રશેખર

કેન્‍દ્રીય કૌશલ્‍ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્‍યમંત્રીએ આત્‍મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

રાજકોટ : આત્‍મીય યુનિવર્સિટી ખાતે કેન્‍દ્રીય કૌશલ્‍ય વિકાસ અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રીએ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તે સમયે સાંસદ મોહનભા કુંડારીયા, રામભાઇ મોકરીયા, કુલપતિ ગીરીશ ભીમાણી, પ્રદિપ ડવ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪ : કેન્‍દ્રીય કૌશલ્‍ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્‍થિતિમાં આત્‍મીય યુનિવર્સિટી ખાતે ‘ન્‍યુ ઈન્‍ડિયા ફોર યંગ ઈન્‍ડિયા : ટેકેડ ઓફ ઓપોર્ચ્‍યુનિટીઝ' કાર્યક્રમ એસયુ સ્‍ટાર્ટઅપ અને ઇન્‍ટરપ્રેન્‍યોરશીપ કાઉન્‍સીલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આઇ હબના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના આઈ.ટી. એક્‍ટને બદલીને નવો ડિજિટલ ઈન્‍ડિયા એક્‍ટ લાવશે.

કેન્‍દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતે ૧૯૯૫માં કરેલા ટેલિકોમ સ્‍ટાર્ટ અપની વાત કરીને યુવકોને પ્રોત્‍સાહન આપતા જણાવ્‍યું હતું કે, પહેલાના સમય કરતાં આજે સ્‍ટાર્ટઅપ માટે ખૂબ અનુકૂળ વાતાવરણ બન્‍યું છે. ટેકેડ એટલે ટેકનોલોજી દ્વારા વિકાસની તકોનું દશક. આ દાયકો ભારત માટે ખૂબ મહત્‍વપૂર્ણ છે. દાયકાઓ પહેલા મોટા મોટા ઉદ્યોગપતિ પરિવારો સુધી મૂડી અને અવસરો ઉપલબ્‍ધ હતા. હવે અવસરો અને મૂડીનું લોકશાહીકરણ થયું છે. ૧૦૦થી વધુ યુનિકોર્ન સ્‍ટાર્ટઅપ અને ૭૫ હજારથી વધુ સ્‍ટાર્ટઅપ દ્વારા નવા નવા સાહસિકો પોતાના બળે આગળ આવ્‍યા છે. બાદમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે સ્‍કીલ કોર્સિસ દ્વારા સ્‍કીલ ડેવલપ પણ કરવા અનુરોધ કર્યો હતો.

i-hubના CEO શ્રી હિરન્‍મય મહંતાએ સ્‍ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા જણાવ્‍યું હતું કે,  ગવર્મેન્‍ટ, જીઓગ્રાફિકલ ઇન્‍કલુઝન, જેન્‍ડર, ગ્રાસ રૂટ ઇનોવેશન, જનરેશન નેક્‍સ્‍ટ સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશનના 5G સ્‍પેક્‍ટ્રમ પર અમે કામ કરી રહ્યા છીએ. સરકારના અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ પ્રકારના સ્‍ટાર્ટઅપને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમ પહેલા મંત્રીશ્રીએ વિવિધ કોલેજના સ્‍ટાર્ટઅપ બૂથની મુલાકાત લીધી હતી. દીપ પ્રાગટ્‍યથી કાર્યક્રમની શરૂઆત બાદ શાલ, પુસ્‍તક અને મોમેન્‍ટો દ્વારા મહાનુભાવોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા સ્‍ટાર્ટઅપ્‍સ કરનારા યુવા સાહસિકોને એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.  આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગર પાલિકાના મેયર પ્રદીપ ડવ, અગ્રણી કમલેશ મીરાણી, આત્‍મીય યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવકુમાર ત્રિપાઠી, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના રજિસ્‍ટ્રારઅમિત પારેખ, ઉદ્યોગ સાહસિકો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા.

(5:02 pm IST)