Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

શ્રી પંચનાથ ટ્રસ્ટની આરોગ્ય સેવાનો ૧૯માં વર્ષમાં પ્રવેશ

૨૦૦૩માં શ્રી પંચનાથ નિદાન કેન્દ્રનો પ્રારંભ થયેલો, માત્ર રૂ. ૧૦માં નિદાન - વિનામૂલ્યે દવા અપાતી : ૧ જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન, ૩ ન્યુરોસર્જન, ૨ ન્યુરો ફિઝીશ્યન તથા ૨ ગેસ્ટ્રોએન્ટોલોજિસ્ટની વરણી

રાજકોટ : આજથી ૨૦ વર્ષ પહેલા રાજકોટની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ સ્વ.શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, સ્વ.શ્રી નારણભાઈ મહેતા અને વર્તમાન માનદમંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા મંદિરના પરિસરમાં આવેલ આરસપહાણના ઓટલા પર બેસીને સામાન્ય ગોષ્ઠિ કરી રહ્યા હતા વાતમાં ને વાતમાં એક ટ્રસ્ટીશ્રીને રાહત દરે હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો શરૂઆતના તબક્કે આ વિચારનો અમલ અશકય લાગે તે સ્વાભાવિક છે પરંતુ આ વિચારના સ્પંદનો મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ તરફથી આવ્યા હોવાથી આ યોજના સાકાર કરવા માટે કોઈ પણ પ્રકારના વિધ્ન ન આવે તે સનાતન સત્ય છે કારણકે તેનો ઉદેશ સ્પષ્ટ રીતે દરિદ્રનારાયણની સેવા કરવાનો હતો જે આજે પણ જીવંત છે.

આ પ્રકારનો કુદરતી સંકેત મળતા જ શ્રી પંચનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા વહીવટી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી ને શ્રી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં વંદન સાથે શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને તેમા વર્તમાન ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, સ્વ. ડો. વિનોદ પંડયા, ડો. લલિતભાઈ ત્રિવેદીની ટ્રસ્ટી તરીકે માનભેર સમાવેશ કરવામાં આવ્યો અને આ ટ્રસ્ટના નેજા હેઠળ તા. ૦૨/૦૩/૨૦૦૩ના રોજનાં પાવનદિને શ્રી પંચનાથ નિદાન કેન્દ્રનો પ્રારંભ થયો.

શરૂઆતના તબક્કે માત્ર રૂ.૧૦ મા તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા રોગોનુ નિદાન શરૂ કરવામાં આવ્યુ અને તેની દવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતી હતી તે પરંપરા આજના દિવસે પણ ચાલી રહી છે ત્યારબાદ ઓ.પી.ડી દ્વારા નિદાન શરૂ કરવામાં આવ્યુ અને ક્રમશ રીતે દાતાશ્રીઓનો વિશ્વાસ સંપાદન કરીને તેમના આર્થિક સહયોગ થકી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી અને તબીબો દ્વારા સૂચવાયેલા લોહી તથા યુરીનના પરિક્ષણો શરૂ કરવામાં આવ્યા ધીમે ધીમે દાતાશ્રીઓના સાથ અને સહકારથી દાંતનો સારવાર વિભાગ શરૂ કરવામાં આવેલ સાથોસાથ રેડીયોલોજીના આધુનિક મશીન દ્વારા ઇ.સી.જી., સોનોગ્રાફી, ટી.એમ.ટી., સીટી સ્કેન, એકસરે જેવા વિભાગોનો આરંભ કરવામા આવેલ હતો આ પ્રકારની સેવા આપવાની પ્રક્રિયા ઘણા વર્ષ સુધી નિરંતર ચાલુ રહી.

પરંતુ વર્તમાન ટ્રસ્ટીમંડળને આટલીજ સેવાકીય પ્રવૃત્ત્િ।થી સંતોષ ન થતાં તેઓશ્રીઓએ ૫૦ બેડની અતિ આધુનિક સુવિધાઓ ધરાવતી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો જે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ થકી તા. ૨૧/૦૧/૨૦૨૧ના રોજનાં પાવન દિને પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વચન સાથે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને આધુનિક સુવિધા સભર ભવનની સાથે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી નવનિર્મિત હોસ્પિટલ અર્પણ કરવામા આવી.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહિલ, ડી.વી. મહેતા, મયૂરભાઇ શાહ, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા ભેખધારી સમાજ સેવકો અને શ્રી પંચનાથ મંદિર તથા હોસ્પિટલ પરિવારની હોસ્પિટલના ૧૯ માં વર્ષમાં મંગલમય પ્રવેશના પાવન પર્વ પર દરેક દર્દીઓ ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ (મો.નં. ૯૮૭૯૫૭૦૮૭૮) અથવા તો શ્રીમતિ ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર અન્યથા લેન્ડ લાઇન નંબર (૦૨૮૧ - ૨૨૨૩૨૪૯ / ૨૨૩૧૨૧૫પર) સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમા જણાવેલ છે.

(3:15 pm IST)