Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજકોટના બે શખ્‍સો કારમાં ૪૦૦ કિલો ચાંદીના જથ્‍થા સાથે ઝડપાયા

આગ્રાથી આવતી ચાંદી રાજકોટ લાવવાની હતી પરંતુ પોલીસે અટકાવતા ઝડપાઇ

મોડાસા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે આ માર્ગે હવે ચાંદીનો ગેરકાયદેસર જથ્થો ઘુસાડવા ઉપયોગમાં લેવામાં આવતા ખરા અર્થમાં સિલ્કરૂટ બન્યો હોય તેમ મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થતી કારમાંથી ૪૧૬.૦૪૫ કિલો ૨.૨૪ કરોડ રૂપિયાની ચાંદીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ૪૧૬ કિલો ચાંદી આગ્રા થી રાજકોટ લઇ જવામાં આવી રહી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ચાંદીની ખેપ મારનાર શખ્શોને બિલ માંગતા બિલ રજુ ન કરી શકતા તેમજ ચોરી કરી કે પછી છળ કપટથી ૪૧૬ કિલો ચાંદીના જથ્થાને સગેવગે કરવામાં આવી રહી હોવાના શકના આધારે પોલીસે ચાંદીના જથ્થાને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. દિવાળી પર્વને લઈને એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોડાસા રૂરલ પી.આઈ.સી.પી વાઘેલા અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું. પી.આઈ. સી પી વાઘેલા અને તેમની ટીમની સતર્કતાથી કારમાં ગુપ્ત ખાના બનાવી સંતાડી રાખેલા ૪૧૬.૦૪૫ કિલો ચાંદીના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો ચાંદીનો મસમોટો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ હાથધરતાં શામળાજી રતનપુર ચેકપોસ્ટ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલી નિશાન સન્ની કાર (ગાડી.નં-GJ 09 BE 7672)ને અટકાવી કારચાલક રાજકોટના ધર્મેન્દ્ર ખેંગારભાઈ ખોડિયા અને વીજય જદુરામ દાણીધારીયા નામના શખ્શની પૂછપરછ કરતા થોથવાઈ જતા પી.આઈ.સી પી વાઘેલા તેમને કાર સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને લઈ આવી સઘન પૂછપરછ કરતા કારમાં સીટ નીચે ગુપ્ત ખાનામાં કોથળામાં ચાંદી હોવાનું જણાવતા પોલીસે સીટ નીચે તલાસી લેતા ગુપ્ત ખાનામાંથી પ્લાસ્ટિકના કોથળાઓ માંથી ચાંદીની પ્લેટો અને દાગીનાનો ૪૧૬.૦૪૫ કિલો કીં.રૂ.૨૨૪૩૨૮૧૮/- જથ્થો મળી આવતા પોલીસે આ અંગે બંને શખ્શોને બીલ રજુ કરવા જણાવતા બિલ કે આધાર પુરાવા રજુ ન કરી શકતા પોલીસને ચાંદીનો જથ્થો ચોરી કરેલ કે છળ કપટથી મેળવી હેરાફેરી થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા રૂરલ પોલીસે ૧)ધર્મેન્દ્ર ખેંગારભાઈ ખોડિયા (બ્રાહ્મણ) (રહે, ન્યુ મેઘાણીનગર શેરી.નં-૧૧, રાજકોટ) અને ૨)વિજય જદુરામ દાણીધારીયા (બાવાજી) (રહે, માર્કેટયાર્ડની પાછળ, મંછાનગર, બાદરછાપીરની બાજુમાં,રાજકોટ) ની અટકાયત કરી ચાંદીના જથ્થાને સીલ કરી આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૧૩૯૭૦, મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૬૦૦૦/- તથા કારની કીં.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૨૬૬૩૭૮૮/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:04 pm IST)