શ્રાવણ સત્સંગ
સદાશિવજીનો મહિમા
મહાકાલ, મહાદેવજીની આરાધના થકી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો અતિ ઉત્તમ સમય પાવન પવિત્ર શ્રાવણ માસ છે.
આ કળીયુગમાં માનવી સંસારની અનેકવીધ વિટંબણાઓથી ઘેરાયેલો રહે છે. અને મુશ્કેલીઓના વમળમાં ફસાય છે. આ કળીયુગના માનવીને વિટંબણાના વમળમાંથી મુકત થવા માટે ભોળાનાથ મહાદેવજીની ઉપાસના અતિ ઉત્તમ છે.
ભોળાનાથ માત્ર પૌરાણીક દેવતા નથી સર્વ શાસ્ત્રોમાં મહિમા મંડિત દેવતા છે. તેમની ઉપાસના તમામ વર્ગને માટે કલ્યાણકારી છે.
મહાદેવજી અવિનાશી, નિત્ય અને ચિન્મય છે તેમની અનંત લીલાઓ મંગલમય અને કલ્યાણકારી છે.
ભગવાન વિષ્ણુએ શિવપૂજા કરી છે, તેમણે પુજનમાં સહસ્ત્ર કમળ ચડાવવાનો રૂદ્ર સંકલ્પ કર્યો પણ આ પુજામાં છેવટે એક કમળ ઘટયૂં ત્યારે એ સમયે વિષ્ણુ ભગવાને પોતાના નેત્રને કમળરૂપે ચડાવીને પોતાનો નિર્ધાર પુર્ણ કર્યો.
પુરાણોમાં સદાશિવજીનો મહિમા ગૌરવ ગરિમા, વિવિધ લીલાઓ, અને સાધનાના વર્ણનો છે. મહાદેવજીએ રાધાકૃષ્ણની ઉપાસના માટે તેમના બે સ્વરૂપો અને સ્વભાવ સમજાવતા મંત્રો નારદજીને આપ્યા છે.
ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સામે યુદ્ધ કરવા માટે શ્રીલંકા પર જયારે ચડાઇ કરી ત્યારે તેમણે સમુદ્રને ઓળંગવા માટે સેતુબંધ બાંધ્યો અને ત્યાં રામેશ્વરમાં શિવલીંગની સ્થાપના કરી મહાદેવજીની પૂજા ઉપાસના કરી હતી.
શિવતાંડવમાં પણ કહેવાયુ છે કે, શિવસર્વહ કલ્યાણ મૂર્તિ પુરા વિશ્વનું કલ્યાણ કરનારા છે. અને જયારે જયારે જરૂર પડી છે ત્યારે ત્યા સર્વપાપોના નાશ કરનારા સંહાંરના દેવ પણ બની રહ્યા છે.
ત્રિગુણ તત્વ સત્ રજ, અને તમ, એમ ત્રણેય પર ભોલાનાથ મહાદેવજીનો પ્રભાવ છે.
શિવપુરાણ પ્રથ્વી પરનું ઉત્તમ શાસ્ત્ર છે. તેનું પઠન, શ્રવણ અને મનન સર્વક પ્રશ્નોનું મુળ નિરાકરણ છે.
આ શિવપુરાણના પઠનના માધ્યમથી શિવભકિત પ્રાપ્ત કરીને કલીયુગી માનવ શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચે છે.શિવ પુરાણનું વાંચન મનોવાંછીત ફળ પ્રદાન કરનારૂ છે, જે સદાશિવજીના ગુણોને પાંમે છે. અથવા તો કોઇના મુખેથી સાંભળે છે તે વ્યકિત ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરે છે.
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪