વિવિધ વિભાગ
News of Thursday, 2nd September 2021

શ્રાવણ સત્સંગ

બ્રહ્મનું તેજ હોય તો નિરંતર આનંદિત અને પૂલકિત

જેનુ મન અને ચિત્ત પાવન છે. એ જ પરમ કૃપાળુ પરમાત્માને મેળવવાનો અધિકારી છે. જે દરેક જીવમાં દીન, દુઃખી તથા દુર્બળમાં બ્રહ્મને જુએ છે અને તેની સેવા કરે છે. એ જ વાસ્તવમાં સારો ઈશ્વર ભકત છે.

જે પરમાત્મા મંદિરોમાં છે એ જ પરમાત્મા દરેક જીવમાં અને સૃષ્ટિના કણેકણમાં વ્યાપેલા છે. જીવની સેવા એ શિવ સેવા છે. નર સેવા જ નારાયણની સેવા છે. માનવ સેવા જ માધવની સેવા છે અને એટલે પંડીત ગુરૂદેવ શ્રી રામશર્માજીએ સાચુ જ કહ્યુ છે કે, 'ઈશ્વર બંધ નહીં હૈ મઠમેં, વહ તો હૈ વ્યાપ રહા ઘટઘટ મેં..'અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, પરંતુ પ્રકાશ માટે એક નાનકડો દીપ પ્રગટાવીએ તો પણ અંધકાર ગાયબ થઈ જાય છે. પ્રકાશના પ્રગટીકરણ સાથે જ અંધકાર ભાગી જાય છે. સવારે સૂર્યોદય થતા જ આખી રાતથી અડ્ડો જમાવી બેઠેલો અંધકાર અદ્રશ્ય થઈ જાય છે. પ્રભાતમાં સૂર્ય ઉગતા જ સમગ્ર આકાશ તેજોમય બની જાય છે અને પૃથ્વી પરનો ડરામણો અંધકાર કયાં જતો રહે છે તેની પણ ખબર પડતી નથી.આ જ રીતે કામનાઓ અને કર્મ સંસ્કારોથી ભરેલુ ચિતરૂપી આકાશ આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ પેદા થતા જ ઝગમગી ઉઠે છે, પછી એ પ્રકાશમાં સાધકને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે.

તે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન દ્વારા અવિદ્યાનો નાશ કરીને આત્મારૂપી અખંડ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. ત્યાર પછી તે પાપ-પૂણ્ય, શુભ-અશુભ, રાગદ્વેષ તેમજ સંશય-ભ્રમના બંધનોમાંથી મુકત થઈ જાય છે.

આ સમગ્ર સૃષ્ટિ, સંપૂર્ણ જગત તેમજ અકળ બ્રહ્માંડ પરબ્રહ્મ પરમેશ્વરની જ અભિવ્યકિત છે.

સૃષ્ટિના કણેકણમાં એ બ્રહ્મનું તેજ પ્રસરી રહ્યુ છે. આવી બ્રહ્મ દ્રષ્ટિનો વિકાસ થયા પછી તેને સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે.

આવા સાધકો બહારથી સામાન્ય દેખાય પરંતુ તેમનો આત્મા બ્રહ્મના પ્રકાશમાં સ્નાન કરતો હોય છે, પરિણામે સામાન્ય લોકો જ્યાં સાંસારિક સુખ, દુઃખ, હાનિ-લાભ, યશ-અપયશ, માન-અપમાન વગેરે બંધનોમાં પડેલા હોય ત્યારે રીઝાતા હોય કે પછી ખીજાતા હોય છે પરંતુ જેમનામાં બ્રહ્મનું તેજ હોય તેઓ તો નિરંતર, આનંદિત અને પુલકિત રહે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:29 am IST)