Gujarati News

Gujarati News

News of Tuesday, 9th May 2017

બેન્‍ક ખાતામાંથી રૂ. બે લાખથી વધુ રોકડમાં ઉપાડી શકાશે પણ રૂ. ૧૦,૦૦૦થી વધુ રોકડ ખર્ચામાં તથા લેણ-દેણમાં બંધી છે

નોટબંધીના પગલે - પગલે સરકાર દ્વારા રોકડ વ્‍યવહાર તેમજ રોકડ ખર્ચ ઉપર આકરા નિયંત્રણો મુકેલ છે, તેમજ રોકડ કાયદેસરના વ્‍યવહારો ઉપર પણ આકરા દંડની જોગવાઈ અમલમાં તા. ૧-૪-૨૦૧૭થી આવેલ છે

* કોઈપણ વ્‍યકિત જેમાં ધંધાદારી વ્‍યકિત, ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ, વ્‍યવસાયિક વ્‍યકિત કે જેઓ કોઈપણ પ્રકારનો ધંધો કરતા હોય અને બીઝનેશ આવક ધરાવતા હોય તેઓએ કોઈપણ રોકડ ખર્ચ રૂ. ૧૦,૦૦૦ એક જ દિવસમાં એક જ વ્‍યકિત કે ખર્ચ માટે કરી શકશે નહિ પરંતુ ચેક અથવા બેન્‍કીંગ વ્‍યવહારથી ગમે તેટલી રકમ કરી શકશે. દા.ત. સ્‍ટેશનરી, બીલ, પગાર, ખર્ચ, પ્રીન્‍ટર કે સ્‍કેનર અંગેનો ખર્ચો રૂ. ૧૦,૦૦૦થી વધુ હોય તો ચેકથી જ ચુકવવાના રહેશે અને જો રોકડથી ખર્ચ કરશે તો ખર્ચ તરીકે બાદ નહીં મળે.

* આવી જ રીતે કોઈપણ વ્‍યકિત પાસેથી લેણદેણનો હિસાબ એક જ દિવસે એક સાથે અથવા ટુકડે-ટુકડે જુદી જુદી પહોંચો આપીને કુલ રૂ. ૧૦,૦૦૦ થી વધુ રકમનો વ્‍યવહાર કરી શકશે નહી પરંતુ જો કોઈ વેપારીની ઉઘરાણી રૂ. ૧ લાખ કે ૨ લાખથી વધુ આવે તો તેવા સમયે બેન્‍ક દ્વારા આરટીજીએસ કરવુ અથવા શ્રોફ-શરાફ દ્વારા રોકડ આપી ચેક લેવાની વેપારીની અત્‍યારે પ્રથા ચાલુ જ છે.

* એક જ બેંકમાંથી એક જ દિવસે રૂ. ૨,૦૦,૦૦૦ થી વધુ રકમ રોકડેથી ઉપાડી શકાય નહી તેવી જોગવાઈ સામે વિરોધ થતા આ જોગવાઈ રદ કરવામાં આવેલ છે પરંતુ રોકડ ખર્ચા તથા રોકડ લેણ-દેણ વ્‍યવહાર રોકડથી ન કરવાની જોગવાઈ ચાલુ જ છે.

* કોઈપણ સ્‍થાવર કે જંગમ મિલ્‍કત જેવી કે મશીનરી, ફર્નિચર વિગેરેના ખરીદ-વેચાણની રકમ રૂ. ૨,૦૦,૦૦૦થી વધુ થાય તો તે રોકડથી વ્‍યવહાર કરી શકશે નહી તે બેન્‍કીંગ વ્‍યવહારથી કરવી પડશે નહિતર ધસારો બાદ નહીં મળે.

* માલ વેચાણ કે સર્વિસ પ્રોવાઈડર જેવી કે હોસ્‍પીટલ પણ હવે રોકડથી રૂ. ૨ લાખથી વધુ લઈ શકશે નહિ.

* ખેડૂતોને તેઓનો માલ-જણસી વેચાણ માટે પણ હાલ રૂ. ૨ લાખથી વધુ રોકડમાં ન આપવાની જોગવાઈ હજુ ચાલુ છે. તેમા સરકારે ફેરફાર કરેલ હોય તેમ જણાતુ નથી.

* એક જ વ્‍યકિત, પેઢી, ખાતેદાર એક જ દિવસે એક જ બેંક ખાતામાં રૂ. ૨ લાખથી વધુ ભરી શકશે નહીં, પરંતુ સરકારી દર, કરવેરા સરકારી ખાતામાં રોકડથી ભરવાની છૂટ છે. આ અંગે પાછળથી થોડી છૂટછાટો આપેલ તે મુજબ ચાન્‍સ રહેશે.

* ૨૦૧૬-૧૭ સુધી જો ભાડાની આવક રૂ. ૧,૮૦,૦૦૦થી વાર્ષિક વધે તો જ ટી.ડી.એસ.ની જોગવાઈ હતી. તેમા સુધારો કરીને નવી કલમ ૧૯૪ આઈબી મુજબ વ્‍યકિતગત અને એચ.યુ.એફ. કરદાતા જેમને ૪૪ એ.ડી.ની જોગવાઈ લાગુ પડતી નથી. તેમને હવે વર્ષ દરમિયાન કોઈપણ રહીશ કરદાતાને એક મહિના માટે અથવા તેના ભાગ માટે ભાડાની રકમ રૂ. ૫૦,૦૦૦થી વધુ ચુકવવામાં આવે તો ભાડુ ચુકવનાર કરદાતાએ ટીડીએસ કપાત કરવાની રહેશે. આ કલમ તા. ૧ લી જૂન ૨૦૧૭થી લાગુ થશે.

* સહકારી બેંકોના નોન પરફોર્મીંગ એસ્‍ટેટ (એનપીએ) માટે ડેબ્‍ટ રીઝર્વ પ્રોવીઝન કુલ આવકના ૭.૫૦ ટકા બાદ મળે છે. તે વધારીને ૮.૫૦ ટકા કરવામાં આવેલ છે. સહકારી બેંક પાસેથી લોન ઉપરના વ્‍યાજની રકમ રીટર્ન ભરતા પહેલા ચૂકવેલ હશે તો જ બાદ મળશે તેવી જોગવાઈ છે.

* હવે પાનકાર્ડની જેમ આધારકાર્ડનું મહત્‍વ પણ દિવસે દિવસે વધતુ જાય છે. કોઈપણ વ્‍યકિતનું નામ, પાનકાર્ડ તથા આધારકાર્ડમાં થોડો ઘણો પણ ફેરફાર હશે તો ચાલશે નહી. દા. ત. પાનકાર્ડમાં દીલીપકુમાર ગણાત્રા આધારકાર્ડમાં દીલીપભાઈ ગણાત્રા - તો આ બન્ને સરખુ હોવું જરૂરી છે, પરંતુ આ અંગે સરકાર તથા સુપ્રીમ કોર્ટ વચ્‍ચે ભેદભાવ ચાલે છે.

- નીતિન કામદાર

સી.એ. (મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮), રાજકોટ

 

(12:20 pm IST)