Gujarati News

Gujarati News

News of Wednesday, 30th August 2017

ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયતિ નિમિતે જન્મભુમિ ચોટીલામાં ગુંજ્યા મેઘાણી ગીતો

રાજકોટ તા.૩૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતીએ એમની 'જન્મભૂમિ'ચોટીલા ખાતે 'મેઘાણી વંદના'(કસુંબલ લોકડાયરો) યોજાયો. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી – સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીક સવિશેષ ગૌરવ અનુભવે છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, ચોટીલા પી.આઈ. કે. એ. વાળા, ભૂપતભાઈ ખાચર, નિવૃત્ત્। ડીવાયએસપી જે. એચ. જલુ, શૈલેષભાઈ રાજવીર, ચિરાગભાઈ કોટક, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), ચોટીલા એપીએમસી સેક્રેટરી પ્રવીણસિંહ ચૌહાણ, ઘરશાળા-વઢવાણનાં તૃપ્તિબેન આચાર્ચ શુકલ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય (લીંબડી), વિશ્વાસભાઈ શુકલ, કેતનભાઈ પંડ્યા (અમદાવાદ), ભરતભાઈ કારાણી (દુબઈ), જયેશભાઈ ખંધાર (મુંબઈ) સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ અને યુવાનોની સવિશેષ ઉપસ્થિતિ રહી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભાવિકોએ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયાએ, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહભાઈએ કાર્યક્રમનો આરંભ કર્યો. ઝવેરચંદ મેઘાણીની અમર રચના 'મોર બની થનગાટ કરે'ની ઝમકદાર રજૂઆત કરીને અભેસિંહભાઈએ સહુને ડોલાવી દીધા. ઝાલાવાડના જગવિખ્યાત તરણેતરનાં મેળાને યાદ કરીને 'રઢિયાળી રાત'માંથી સદાબહાર લોકગીત 'ચાંદો ઊગ્યો ચોકમાં'રજૂ કર્યું. 'બાર બાર વર્ષે નવ્વાણ ગળાવ્યાં', 'બાળુડો જોગી', 'શ્રવણ'જેવાં હ્ય્દયસ્પર્શી કથાગીતોની અર્થસભર રજૂઆતથી અનેકની આંખો આંસુભીની થઈ ગઈ. 'ના છડિયાં હથિયાર', 'હાલાજી તારા હાથ'કથાગીતોની પણ જુસ્સાભેર રજૂઆત કરી. નીલશભાઈએ લોકગીતો 'કાન તારી મોરલી', 'મારું વનરાવન છે રૂડું', જયારે રાધાબેને 'આભમાં ઝીણી ઝબૂકે વીજળી', 'સવા બશેરનું મારું દાતરડું'રજૂ કર્યાં. આજે પણ લોકમુખે રમતું અતિ જાણીતું ગીત 'કસુંબીનો રંગ'સહુ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો હતો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), ચંદુ પરમાર (મંજીરા)એ બખુબી સાથ આપ્યો.

વિશ્વભરમાં વસતાં ૩૧૦૦૦થી વધુ ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. eevents.tv અને ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના જોય શાહ, મયુર કળથિયા અને સાથીઓ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્ર્મ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઈપીએસ) તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. ચોટીલા પી આઈ. કે. એ. વાળા – ચોટીલા પોલીસ સ્ટેશન સ્ટાફ, ચોટીલા એપીએમસી – ચેરમેન ભરતભાઈ ધાધલ, કિરીટસિંહ રહેવર (મામા) – ધર્મેન્દ્રસિંહ વાઘેલા - ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટએ પણ લાગણીભર્યો સહયોગ આપ્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ-કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(11:26 am IST)