એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th August 2021

' આઝાદીકા અમૃત મહોત્સવ ' : ભારતના 75 મા સ્વાતંત્ર્ય પર્વની અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી : દક્ષિણ કેલિફોર્નિયામાં ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઉજવાયો ' આઝાદીનો અમૃત મહોત્સવ ' : અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન ,દીપ પ્રાગટ્ય ,ઉદબોધનો ,ગુજરાતી ગરબા ,તથા ભારતની સંસ્કૃતિ દર્શાવતા દેશભક્તિ સભર કાર્યક્રમોથી ઉપસ્થિતો ભાવવિભોર

 દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ભારતના 75 મા સ્વાતંત્ર્ય પર્વની અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી.દક્ષિણ કેલિફોર્નિયાના ભારતીય અમેરિકન સમુદાય દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણીના કાર્યક્રમમાં આર્સેટિયા સિટીના મેયર , પૂર્વ મેયર્સ , તથા કાઉન્સિલના સભ્યો મહેમાન તરીકે હાજર રહ્યા હતા.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપનો પણ સહયોગ રહ્યો હતો.

આર્સેટિયાના કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આઝાદીકા અમૃત મહોત્સવનો પ્રારંભ ભારત અને અમેરિકાના રાષ્ટગીતથી થયો હતો.આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આર્સેટિયાના મેયર રેને ટ્રેવીનો , બે પૂર્વ મેયર્સ , કાઉન્સિલના સભ્યો અતી તાજ ,તથા ટોની લિમા, ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન શ્રી પરિમલ શાહ ,લેબોન ગ્રુપ હોસ્પિટાલિટીના શ્રી યોગી પટેલ , તથા જૈન સમાજના શ્રી રાજેન્દ્ર વોરાના હસ્તે થયું હતું.

મેયર રેને ટ્રેવીનોએ જણાવ્યું હતું કે અમને શહેરના ઘણાં ભારતીય અમેરિકન રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ છે.આ ડીસ્ટ્રીકટ લિટલ ઇન્ડિયા બિઝનેસ ડીસ્ટ્રીકટ તરીકે પણ જાણીતી છે. ભારતીયોની એકમેક સાથે રહેવાની ભાવનાને બિરદાવી હતી.સાથે અઝાદીકા અમૃત મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.

ત્રણે ભૂતપૂર્વ મેયર્સે ભારતીય અમેરિકાનો સ્થાનિક સ્તરે અર્થતંત્રમાં ચાવીરૂપ રહ્યા છે.અમને ભારતીયોનું પ્રતિનિધિત્વ કર્યાનું ગૌરવ છે.તેમ જણાવી ઉમેર્યું હતું કે 21 મી સદી ભારતીયોની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાઉન્સિલ સભ્ય અલી તાજ અને ટોની લિમા તથા એનાહીમ શહેરના મેયર હેરી સિદ્ધુએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન શ્રી પરિમલ શાહે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત આજે 75 મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે.તે બાબત આપણા સહુ માટે ગૌરવરૂપ  છે.ભારતે મુશ્કેલ સંજોગોમાં લોકતંત્રનું સંવર્ધન કર્યું છે.જે વિશ્વના દેશો માટે પ્રેરણારૂપ છે.

ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડન્ટ શ્રી યોગી પટેલે જણાવ્યું હતું કે ભારતની આઝાદીનો અમૃતોત્સવ એ માત્ર ભારત જ નહીં વિશ્વ માટે પણ આનંદના અવસરરૃપ છે. જે ઘણાબધા દેશ ,ભાષા ,જ્ઞાતિ ,કોમ ,ધર્મ સંપ્રદાય ધરાવતો ભારત દેશ આઝાદીના 74 વર્ષ પુરા કરી 75 મા વર્ષમાં પ્રવેશ્યો છે.એ બાબત ભારતવાસીઓ માટે વિરલ સિદ્ધિ અને વિશ્વ માટે પ્રેરણારૂપ છે.

એક સમયે પરાધીન રહેલો દેશ ભારત આજે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે.ભારતે અનેક ક્ષેત્રે ગતિ કરી છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં ભારતની હાજરી ન હોય.એક સમયે અનાજની અછત ધરાવતો દેશ ભારત આજે એ બાબતમાં સ્વનિર્ભર બન્યો છે.અનાજથી અવકાશ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.ભારતીયો વૈશ્વિક પ્રવાસી રહ્યા છે. તેઓ જ્યાં પણ ગયા છે ત્યાંના વિકાસમાં તેમનો ફાળો રહ્યો છે. કોરોના કાળમાં વિકસિત દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણીબધી સારી કહી શકાય તેવી રહી છે.આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણાં કાર્યો થઇ રહ્યા છે. આજના 75 મા આઝાદી દિને ભારતવાસીઓને શુભેચ્છા છે કે જ્યાં હજુ વિકાસ ખૂટે છે એ પરિપૂર્ણ થાય.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના ગરબા સહીત ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રજુ કરતા કાર્યક્રમો થયા હતા.જે શ્રી વાસુ પવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં શ્રી અશોક પટનાયક , શ્રી હરખ વાસા , સુશ્રી નલીનીબેન સોલંકી ,સુશ્રી અંજુ ગર્ગ , સુશ્રી ચારુ શ્રીનિવાસન ,સહીત અન્ય વ્યક્તિઓનો સહયોગ રહ્યો હતો.

(12:57 pm IST)