મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

સરહદ ઉપર નજર નાખનારને જડબાતોડ જવાબ મળશે

કેવડિયા કોલોનીથી ચીન-પાકિસ્તાનને આકરો સંદેશ આપતા વડાપ્રધાન મોદી : પુલવામાં પર પાડોસી દેશના નિવેદનથી ભારતમાં અનેક લોકો બેનકાબ થઇ ગયાઃ વડાપ્રધાને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સહભાગી થયાઃ રાષ્ટ્રજોગ સંબોધન : બધા દેશોની સરકારોએ આતંકવાદ સામે એક થવાની જરૂર છે

નવી દિલ્હી તા. ૩૧ :.. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાને આજે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનીટી પહોંચીને તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી તે પછી તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી લીધી અને જવાનોને રાષ્ટ્ર સેવાના શપથ લેવડાવ્યા હતાં પછી રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે આતંકવાદ, કોરોના, પાડોસી દેશ, સરહદની  સ્થિતિ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તેમણે ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ પણ આપ્યો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે તેમણે આતંકવાદને ટેકો આપનારાઓને આડે હાથ લીધા હતાં તેમણે કહયું હતું કે બધા દેશોએ ત્રાસવાદ સામે લડવા એક થવાની જરૂર છે.

તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહયું હતું કે પાડોસી દેશ દ્વારા પુલવામાં કાંડ અંગેના સ્વીકારથી ભારતમાં કેટલાક લોકો બેનકાબ થઇ ગયા છે.

પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ. આપણે આજે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. સરદારની પ્રતિમા આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું તિર્થસ્થળ બન્યુ છે. હવે કેવડિયા દુનિયાના ટુરિઝમ મેપમાં દેખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનને પણ આડે હાથ લીધા હતાં.

પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ સરહદ પર વધારે મજબૂત થયો છે. દેશની નજર સરહદ મજબૂત થઈ છે. જે સરહદ પર નજર નાખે છે તેને ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

આજે આતંકવાદને કેટલાક દેશ ખુલામાં સમર્થન કરી રહ્યા છે. આવા દેશ દુનિયામાં ખુલા પડ્યા છે. દુનિયાના દેશોએ આતંકવાદ વિરૂદ્ઘ એક થવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાથી કોઈનું કલ્યાણ થયું નથી. આપણો દેશ છેલ્લા દ્યણાં દશકોથી આતંકવાદથી પીડાઈ રહ્યો છે.આપણે આતંકવાદના કારણે અનેક જવાનોને ગુમાવ્યા છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપણે દેશ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યો છે.

પીએમ મોદીએ કોરોના મહામારી અંગે જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. પરંતુ દેશના તમામ લોકો સાથે મળીને કોરોના સામે લડાઈ લડી છે. આપણા કોરોના વોરિયર્સ બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે. દેશની એકતાની તાકાતના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છે.

પીએમ મોદીએ કેવડિયા ખાતેના સંબોધનમાં મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્ત્।ે યાદ કર્યાં. પીએમ મોદીએ કહ્યું વાલ્મિકીએ ભારતને ઉત્કર્ષ બનાવવાનું કામ કર્યું. ભગવાન રામનો જીવન સંદેશ મહર્ષિ વાલ્મિકીએ કંડાર્યો. વાલ્મિકીએ રાષ્ટ્ર ભાવના જગાડવાનું કામ કર્યું હતું.

આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું ૧૩૦ દેશવાસીઓને અભિનંદન આપું છું.  આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું

કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ ૧૩૦ કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શકિતને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં ૧૩૦ કરોડ દેશવાસીઓએ એક થયો છે. 

૩૫ હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ કયારેય આ સ્વર્ણિમ પળને કયારેય નહીં ભૂલાવે.  દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે

સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે -કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે.આતંકવાદ હિંસાથી કયારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત દ્યણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતાઓએ પોતાના લાલ ગુમાવ્યા છે.ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શકિતથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે

 પીએમ મોદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયા તે અર્ધસૈનિક દળના જ હતા. દેશ કયારેય આ ભૂલી નહીં શકે ત્યારે કેટલાક લોકો આ હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ છોડ્યો ન હતો. દેશ ભૂલી નથી શકતો કે, એ લોકોની ખરાબ રાજનીતિ ચરમ સીમા પર હતી. ત્યારે હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કરતો રહ્યો, મારી અંદર વીર શહીદો માટે દુખ હતું. પાડોશી દેશે જે રીતે હકીકત સ્વીકારી છે, તેના પરથી જાણી શકાય આ લોકો કઇ હદ સુધી જઇ શકે છે. આગ્રહ કરું છું, દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે.

   કોરોના વોરિયર્સ અને પોલીસના સાથીઓએ કોરોના મહામારીના દિવસોમાં અન્યોના જીવન બચાવવામાં પોતાના જીવ કુરબાન કર્યા. પોલીસના જવાનોએ સેવા કરતા કરતા સમર્પિત કરી દીધા. કોરોના વોરિયર્સે સન્માનિય કામગીરી કરી. ભારત મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, એક વર્ષ પહેલા ૩૭૦મી કલમ હટાવાઇ, સરદાર સાહેબનું સપનું પુરૂ થયુ હતુ.

  એકતા પરેડ બાદ પીએમ મોદીએ સરદાર પટેલને સંબોધતા જણાવ્યું કે, દેશની સેંકડો રિયાસતોને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શકિત બનાવીને હિન્દુસ્તાનને વર્તમાન બનાવ્યો. સરદાર પટેલે અનેક રજવાડોને એક કર્યા. જે બાદ તેમણે જણાવ્યું કે, કેવડિયા દુનિયાના નકશા પર એક પ્રયર્ટન સ્થળ તરીકે વિકાસ પામશે. જેનાથી સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે. તેમણે ગઇકાલની વાત કરતા જણાવ્યું કે, કાલે જયારે હું કેવડિયામાં પ્રકલ્પો નિહાળી રહ્યો હતો ત્યારે અહીંની દીકરીઓ ગાઇડ બનીને મને બધુ સમજાવતી હતી. ત્યારે મારું માથુ ઉંચુ થઇ ગયુ.  

  પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં તેમણે, ભારતમાતાની જયનાં જયદ્યોષ કરાવ્યો, એક હાથ ઉપર કરાવીને સરદાર સાહેબને યાદ કરાવીને ભારત માતાની જય બોલાવી હતી. તેમણે  ત્રણવાર ભારતમાતાની જય બોલાવી. પોલીસ દીકરા દીકરીઓનાં નામ - ભારતમાતાની જય, કોરોના વોરિયર્સના નામે -ભારતમાતાની જય, આત્મનિર્ભરતાના સંકલ્પને સિધ્ધ કરનાર કોટી કોટી લોકોના નામે ભારતમાતાની જય બોલાવી હતી. 

(2:59 pm IST)