ચૂંટણી પંચની મોટી કાર્યવાહી :સ્ટાર પ્રચારકમાંથી કમલનાથનું નામ હટાવી દીધું
પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો :આચારસંહિતાનું વારંવાર ઉલ્લંઘન કરવાબદલ કાર્યવાહી
નવી દિલ્હી : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે કમલનાથનું નામ સ્ટાર પ્રચારકોમાંથી હટાવી દીધુ છે. આદર્શ આચારસંહિતાનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. જો કે, કમલનાથ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી શકશે, પણ ખર્ચો પાર્ટી નહીં ઉમેદવારે આપવો પડશે.
ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યુ છે કે, કમલનાથની વિરુદ્ધમાં આચાર સંહિતા ઉલ્લંઘનની કેટલીય ફરિયાદો આવી છે. ભાજપ નેતા ઈમરતી દેવીને આઈટમ બોલવા તથા અન્ય એક સભામાં શિવરાજ સિંહ ચૌહાણને પણ નાટકબાજ કહ્યા હતા.
ચૂંટણી પંચની વારંવાર રજૂઆત અને ચેતવણી છતાં કમલનાથે પોતાની જીભ પર લગામ લગાવી નહોતી. જેને લઈને ચૂંટણી પંચે હવે એક્શન લીધી છે.