ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેકિસન હશે!
આદર પુનાવાલાએ ભારતમાં કોરોનાની રસી કયારે આવશે એ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી શેર કરી છે
નવી દિલ્હી, તા.૩૦: દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓ વચ્ચે ભારત માટે રાહતરૂપ ખબર આવી છે. કોરોનાની રસી બનાવી રહેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પુનાવાલાએ ભારતમાં કોરોનાની રસી કયારે આવશે એ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.પુનાવાલાનું કહેવું છે કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જોકે વેકિસન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુકત રીતે કામ થઈ રહ્યું છે ત્યારે પુનાવાલાનું કહેવું છે કે બ્રિટનમાં આ રસીની એડ્વાન્સ ટ્રાયલ ચાલી રહી છે.તેમના મતે જો બ્રિટન ડેટા શેર કરશે તો ઇમર્જન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. એને મંજૂરી મળતાં જ ભારતમાં રસીનું ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારાં પરિણામ મળ્યાં તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેકિસન હશે.