ઇમરાન ખાનની સરકાર ગમે ત્યારે થશે ઘરભેગી : બિલાવલ ભુટ્ટોના નિવેદનથી રાજકારણ ગરમાયું
બિલાવલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે પાકિસ્તાનમાં ગમે ત્યારે સામાન્ય ચૂંટણી થઇ શકે છે અને તે આ સ્થિતિ માટે તૈયાર રહે
નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારના ભવિષ્યને લઇને ફરીથી પ્રશ્ન થવા લાગ્યા છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીના નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું છે. બિલાવલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે પાકિસ્તાનમાં ગમે ત્યારે સામાન્ય ચૂંટણી થઇ શકે છે અને તે આ સ્થિતિ માટે તૈયાર રહે. બિલવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના અને પાકિસ્તાની સેનાની વચ્ચે સંબંધ ખૂબ મજબૂત થઇ ગયા છે.
પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ પાછલા દિવસોમાં બિલાવલ ભુટ્ટોને પોતાના દિકરાના વલીમામાં આમંત્રણ આપ્યું હતું. બાજવાના આ દાવ બાદ પાકિસ્તાનના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે. હવે બિલાવલના આ નિવેદન બાદ ઇમરાન ખાન સરકાર ટેન્શનમાં આવી ગઇ છે. બિલાવલે કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી સરકાર બનાવશે અને ઇમરાન ખાનને સત્તા પરથી ઉખેડી ફેંકશે.