મુખ્ય સમાચાર
News of Saturday, 30th April 2022

કાબુલની મસ્‍જિદમાં જોરદાર વિસ્‍ફોટઃ ૫૦ નમાજીઓના મોત

રમઝાનના છેલ્લા જુમાની નમાજ પઢવા મોટી સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા : સુન્‍ની મુસ્‍લિમમાં રમજાનના છેલ્લા જુમાની નમાજ દરમિયાન થયો જોરદાર વિસ્‍ફોટ

કાબુલ,તા.૩૦: અફઘાનિસ્‍તાનમાં તાલિબાનના કબજા પછી સ્‍થિતિ સતત બગડતી જઈ રહી છે. રાજધાની કાબુલમાં રમઝાનના છેલ્લા જુમા દરમિયાન એક મસ્‍જિદમાં જોરદાર વિસ્‍ફોટ થયો. આ વિસ્‍ફોટમાં અત્‍યાર સુધી ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે કે, ઘણા લોકો ઘાયલ થા છે. મસ્‍જિદમાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્‍ત લોકોમાં મોટાભાગના નમાજ પઢવા આવેલા લોકો છે. નજરેજોનારાઓએ જણાવ્‍યું કે, ઈજાગ્રસ્‍તોની સંખ્‍યા ઘણી વધારે છે. હજુ સુધી કોઈએ વિસ્‍ફોટની જવાબદારી લીધી નથી.

તાલિબાનના સુરક્ષા અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, કાબુલ શહેરના પીડી ૬માં ગઇ કાલે બપોરે એક મસ્‍જિદને નિશાન બનાવાયા. આ વિસ્‍ફોટમાં ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આ વિસ્‍ફોટ કાબુલના દારુલ-અમન વિસ્‍તારમાં થયો. કાબુલ સુરક્ષા વિભાગના એક પ્રવક્‍તા ખાલિદ જારદાને કહ્યું કે, વિસ્‍ફોટમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે.

આ પહેલા આંતરિક મંત્રાલયના એક પ્રવક્‍તાએ કહ્યું કે, વિસ્‍ફોટમાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં કથિત રીતે મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા લોકો સામેલ છે. ઈમર્જન્‍સી એનજીઓએ ટ્‍વિટર પર કહ્યું કે, અમારી હોસ્‍પિટલમાં અત્‍યાર સુધી ૨૦ ઘાયલ આવ્‍યા છે. જોકે, નજરે જોનારાઓનું કહેવું છે કે, આ વિસ્‍ફોટમાં ઘાયલોની સંખ્‍યા દાવા કરતા ઘણી વધારે છે.

(10:41 am IST)