સુંદરવનના જળચરોનો જીવ લઇ રહ્યો છે પ્લાસ્ટીક કચરો
માછલીઓ અને કાચબાના આંતરડામાંથી મળે છે પ્લાસ્ટીક
કોલકતા,તા. ૨૯: જૂન ૨૦૨૦માં આવેલ ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી તબાહ સુંદરવનના લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી પણ તેની પરના પ્લાસ્ટીકને બેદરકારીથી જ્યાં ત્યાં ફેંકી દેવાયું હતું. હવે આ પ્લાસ્ટીક વેસ્ટ સુંદરવનના જળચરોના જીવ લઇ રહ્યો છે. માછીલો અને કાચબાઓના આંતરડામાં પહોંચેલુ પ્લાસ્ટીક તેમના મોતનું કારણ બની રહ્યું છે. કુદરતી વનસ્પતિને પાણીના ખાલી પાઉચ, સૂકા રાશનની પ્લાસ્ટીક કીટ વગેરે જળજીવનની સાથે ખેતીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત કિનારાઓના રક્ષણ માટે માટી અને પથ્થરો ભરેલ સીન્થેટીક બેગોનો ઉપયોગ કરવો, પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટીકનો બીનજરૂરી ઉપયોગ કરવાથી સુંદરવનમાં માઇક્રપ્લાસ્ટીક ઝડપભેર વધતુ જાય છે. સુંદરવનમાં પ્લાસ્ટીક કચરો વધવાથી સદાબહાર મેન્ગ્રોવના જંગલો પર ખતરો વધી ગયો છે. મેન્ગ્રોવનું શ્વસન પણ પ્લાસ્ટીકના કારણે અસરગ્રસ્ત થાય છે. સમુદ્રી જલ થલ પર ઓકસીજનનું પ્રમાણ ઘટવાનો ખતરો પણ વધતો જાય છે.