યુપીના મોટા માફીયા અતીક અહમદ પર યોગીની મોટી કાર્યવાહી
પદ ગયું, પ્રતિષ્ઠા ગઇ, બેંકનું નાણુ પણ જપ્ત : ૧૧ ખાતાઓ સીઝ, ૩૦૦ કરોડની સંપતિનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
પ્રયાગરાજ, તા. ર૯ : એમપી એમએલએ કોર્ટે જેલમાં પુરાયેલ અતીક અહમદને યુપી આવવાને બદલે ગુજરાતમાંથી જ વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા પેરવીની છૂટ ભલે આપી હોય, પણ યુપીની યોગી સરકારનો સકંજો તેના પર સતત કસાતો જાય છે. તેની સંપતિઓ પર હથોડા ચલાવીને નેસ્ત નાબુદ કર્યા પછી હવે બેંકોમાં જમા રકમ પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અતીક અહમદના ૧૩ ખાતા યોગી સરકારે સીઝ કર્યા છે. દિલ્હી સંસદ ભવન અને લખનૌ સચિવાલયના ખાતાઓ તો પહેલા જ સીઝ કરાયા હતા. હવે નવી કાર્યવાહીમાં અતીકના અન્ય ૧૧ ખાતાઓ સીઝ કરાયા છે. સરકાર અતીકની ૩૦૦ કરોડથી વધારેની સંપતિ પર બુલડોઝર ફેરવી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર કોઇ માફીયા વિરૂદ્ધ આટલી મોટી કાર્યવાહી થઇ છે.
સરકારની કાર્યવાહીથી ભયભીત અતીક હવે ગુજરાતથી યુપીમાં આવતા પણ ડરી રહ્યો છે તેને ભય છે કે કયાંક રસ્તામાં જ તેની હત્યા ન થઇ જાય. એવું અતીક દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે જે ભૂતપૂર્વ ધારાસભ્ય અશરફ (અતીકનો નાનો ભાઇ)નો કયાંય સુરાગ નહોતો મળતો તેને યોગીની પોલીસે શોધી કાઢયો એટલું જ નહીં તેને સળીયા પાછળ પણ ધકેલી દીધો. અતીકનો દિકરો ઉમર ફરાર છે અને તેના પર બે લાખનું ઇનામ છે.
ગુનાઓ દ્વારા કમાયેલ તેની મોટાભાગની મિલકત પણ હાથમાંથી જતી રહી છે ત્યાં સુધી કે અતીક પરિવારને રહેવાનું ઠેકાણું પણ છીનવાઇ ચૂકયું છે તેનું મહેલ જેવું આલિશાન પૈતૃક મકાન પણ જમીન દોસ્ત કરી દેવાયું છે. બીલ્ડીંગો, શોપીંગ કોમ્પ્લેક્ષ, કોલ્ડ સ્ટોરેજને ધૂળ ભેગા કરીને અને તેના કબજામાંથી કરોડો રૂપિયાની જમીનો છોડાવ્યા પછી યોગી સરકારે હવે અતીકના બેંક ખાતાઓને નિશાન પર લીધા છે. અતીક ઉપરાંત હવે બીજા હીસ્ટ્રીશીટર અને ભૂમાફિયા દિલીપ મિશ્રાના બેંક ખાતાઓ સીઝ કરવાની તૈયારીમાં પ્રયાગરાજ પોલીસ લાગી ગઇ છે.