સાંસદ નવનીત રાણા અને ભીમ આર્મી વચ્ચે ટક્કર: હનુમાન ચાલીસા નહીં, બંધારણ પાઠ કરવાની માંગ
રાણા સમર્થકો અને ભીમ આર્મીના કાર્યકરો આમને સામને : અટકાયત
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા 36 દિવસ પછી શનિવારે તેમના શહેર પહોંચ્યા. તેમની સાથે તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા પણ હતા. રાણાના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ભીમ આર્મીના કાર્યકરો તેમની સાથે અથડાયા હતા. રાણા સમર્થકો અને ભીમ આર્મીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ કાર્યકરો રાણા દંપતી દ્વારા હનુમાન ચાલીસાના પાઠનો વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. આ પછી પોલીસે ભીમ આર્મીના કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. ભીમ આર્મીના કાર્યકરોએ કહ્યું કે તેઓ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા દેશે નહીં. રાણા દંપતી અહીં બંધારણનું વાંચન કરે.
છેલ્લા બે મહિનાથી રાણા દંપતી હનુમાન ચાલીસાના પાઠ કરવાને કારણે વિવાદમાં છે. ભીમ આર્મીના કાર્યકરોએ જણાવ્યું કે તેમને રાણા સમર્થકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાણા દંપતી અહીં હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છે. માહિતી મળતાં જ તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ રીતે તેઓએ જય હનુમાનના વિરોધમાં જય બંધારણના નારા લગાવવાનું શરૂ કર્યું.
ભીમ આર્મીના કાર્યકરોના આ વિરોધ બાદ નવનીત રાણાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નવનીત રાણાએ જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોમાંથી પ્રેરણા લઈને જ તે મોટી થઈ છે. જેના કારણે તેઓ આજે સંસદમાં હક અને સત્યની લડાઈ લડે છે. તે અધિકાર બાબાસાહેબે જ આપ્યો છે, નવનીત રાણાએ કહ્યું કે તે બાબાસાહેબનું નામ લઈને જ અહીં આવે છે અને માથું નમાવે છે. તે અહીં બાબાસાહેબનું સન્માન કરવા માટે જ આવી છે.
નવનીત રાણાના પતિ રવિ રાણાએ કહ્યું કે જ્યારે તે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદને કારણે જેલમાં ગઈ હતી ત્યારે તે આ બંધારણની શક્તિને કારણે જ બહાર આવી હતી. નહીં તો તે આજ સુધી જેલમાં સડી રહી હોત. જેના જવાબમાં રાણા દંપતીએ જય બાબાસાહેબ, જય સંવિધાનના નારા પણ લગાવ્યા હતા.