ઓગષ્ટ સુધીમાં ૭.૪૩ કરોડ લોકો સંક્રમિત હતા
આઈસીએમઆરના બીજા નેશનલ સિરો સર્વેમાં ખુલાસો
નવી દિલ્હી, તા. ૨૭ :. ભારતની વસ્તીના લગભગ ૭ ટકા લોકો કે જેમની ઉંમર ૧૦ વર્ષથી વધુ છે. તેઓ ઓગષ્ટ સુધી સંક્રમિત થઈ ચૂકયા હતા. એટલે કે ઓગષ્ટ સુધી દેશના ૭.૪૩ કરોડ લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના બીજા સિરો સર્વેમાં આ ખુલાસો થયો છે. સર્વેમાં એવુ પણ જણાયુ છે કે શહેરી ઝૂપડીઓમાં આ વાયરસ સૌથી વધુ ફેલાયો છે અને તે પછી શહેરોના બીજા વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં તેનો પ્રસાર થયો હતો.
લૈંસેટ ગ્લોબલ હેલ્થમા પ્રકાશિત સર્વેક્ષણના તારણો અનુસાર ભારતમાં ૧૦ ટકાથી ઓછા સિરો પ્રસાર ઈશારો કરે છે કે વસ્તીનો એક મોટો હિસ્સો નોવેલ કોરોના વાયરસ સંક્રમણના શિકારમાં આવવાના મામલામાં અતિ સંવેદનશીલ છે. રીપોર્ટ અનુસાર ઓગષ્ટ ૨૦૨૦ સુધીમાં ૧૦ વર્ષ કે તેથી વધુ વયના લગભગ ૧૫ લોકોમાંથી એક વ્યકિત સંક્રમિત હતો. મે અને ઓગષ્ટ વચ્ચે સંક્રમણના પ્રસારમાં ૧૦ ગણો વધારો નોંધાયો હતો. રીપોર્ટમાં જણાવાયુ છે કે દર ૯ વ્યકિતમાંથી ૧ જેમણે ભૂતકાળમાં કદી પણ કોવિડના લક્ષણોની ફરીયાદ નહોતી કરી તેઓમાં સાર્સ એન્ટીબોડીની મોજુદગી માલૂમ પડી હતી.