૨૪ કલાકમાં ૧૨,૬૮૯ નવા કેસઃ ૧૩૭ દર્દીનાં મોત
પહેલા ચરણમાં અત્યાર સુધી ૨૦.૨૯ લાખ દર્દીઓને રસી આપવામાં આવીઃ કોરોનાના હાલ ૧,૭૬,૪૯૮ એકિટવ કેસ
નવી દિલ્હી, તા.૨૭: ભારતમાં કોરોના વેકસીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. બુધવાર સુધીમાં કુલ ૨૦,૨૯,૪૮૦ લોકોને કોવિડ વેકસીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૬૮૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૩૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૮૯,૫૨૭ થઈ ગઈ છે
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩ લાખ ૫૯ હજાર ૩૦૫ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૩,૩૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૬,૪૯૮ એકિટવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૬.૮ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૭૨૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૩૬,૧૩,૧૨૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં માત્ર ૫,૫૦,૪૨૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.