બ્રિટનમાં હજુય કોરોના ફૂંફાડા મારે છે : મરણાંક ૧ લાખને પાર : વડાપ્રધાને જવાબદારી સ્વીકારી
લંડન, તા. ૨૭ : બ્રિટનમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ૧ લાખનો આંકડો વટાવી ચૂકી છે. આ અંગે વડાપ્રધાન બોરીસ જોન્સને જાહેર રીતે જવાબદારી સ્વીકારતા દુઃખ વ્યકત કર્યુ છે.
આ મોતોથી દુઃખી વડાપ્રધાન જોનસને કહ્યું કે હું આની સંપૂર્ણ જવાબદારી સ્વીકારૂ છું. મને આ મોતનું બહુ દુઃખ છે. હું એ બધા પ્રત્યે સંવેદના વ્યકત કરવા માગુ છું. જેમણે આ મહામારીથી પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. પોતાના મા - બાપ, ભાઈ - બહેન, દિકરા - દીકરી ખોયા છે.
તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારા પ્રધાનોએ તેના પર કાબુ મેળવવાનો યથાશકિત પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે મૃતકો પરિવારજનોનું દુઃખ ઓછુ નથી કરી શકાતુ. જોનસને કહ્યું કે આ મહામારીમાંથી દેશને સબ શીખવાની, વિચારવાની અને સુધારવાની તક મળી છે.રાહતની વાત એ છે કે રસી આવ્યા પછી હવે કેસોમાં ઘટાડો થયો છે.બ્રિટનની નેશનલ સ્ટેટેટીકસ ઓફીસના ડેથ સર્ટીફીકેટના આંકડાઓથી એ ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી લગભગ ૧,૦૪,૦૦૦ લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવા પ્રદાતાના સીઈઓ ક્રિસ હોપસને કહ્યું કે કોરોનાથી ૧ લાખથી વધુ મોતનો આંકડો દુઃખદ છે. રસીકરણ માટેના પ્રભારી પ્રધાન નદીય જહાવીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બધા સમુદાયના લોકો મફત રસીકરણના પ્રસ્તાવને સ્વીકારીને રસી મુકાવવા માટે આગળ આવે.