PM મોદીએ આજે જામનગરથી આવેલી એક વિશેષ પાઘડી પહેરી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા દિવસના અવસરે સાફો બાંધવાની પરંપરાને જાળવી રાખતા આ વખતે ખાસ કેસરિયા રંગની પાઘડી પહેરી છે. નેશનલ વૉર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરેડ ગ્રાઉન્ડ પહોંચી ગયા છે. મેમોરિયલ થી લઈને પરેડ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન મોદીએ માથામાં પહેરેલી વિશેષ પાઘડીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આ પાઘડીના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે.
હકીકતમાં PM મોદીએ આજે જામનગરથી આવેલી એક વિશેષ પાઘડી પહેરી છે. સૌ પ્રથમ ગુજરાતના જામનગરના રાજવી પરિવાર દ્વારા આ પ્રકારની પાઘડી વડાપ્રધાનને ભેટ તરીકે આપવામાં આવી હતી.
ગત વર્ષે તેમણે બાંધણીની પાઘડી પહેરી હતી, જે કમસ સુધી હતી. 2015થી અત્યાર સુધી દરેક પ્રજાસત્તાક પર્વ પર વડાપ્રધાન મોદી ખાસ પ્રકારની પાઘડી પહેરીને જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાષ્ટ્રીય તહેવારમાં કંઈને કંઈ અલગ કરતાં જોવા મળે છે. સ્વતંત્રતા પર્વના અવસરે પણ તેઓ અલગ પ્રકારની પાઘડીમાં જોવા મળ્યા હતા. આ વખતે તેઓ જામનગરની પાઘડી પહેરીને જોવા મળ્યા છે. જેની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. લોકો દ્વારા આ પાઘડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ પાઘડી પણ ફેશન સ્ટાઈલનું રૂપ લઈ શકે છે.