ગુજરાત અને પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગુ કરવા સરકારની વિચારણા
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે જાણકારી આપી: કોરોનાની સ્થિતિનું આકલન કરીને અંતિમ નિર્ણય લેવાશે
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ગુજરાત અને પંજાબની જેમ દિલ્હી સરકાર પણ નાઈટ કરફ્યૂ લગાવવા માટે વિચારણા કરી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના સંકટને ઓછુ કરવા માટે નાઈટ કરફ્યુના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે
જોકે હજી સુધી આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યો હતો કે, બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કરફ્યૂ લગાવવાની વિચારણા છે કે નહી અને તેના જવાબમાં સરકારે કહ્યુ હતુ કે, નાઈટ કરફ્યૂ પર વિચારણા થઈ રહી છે પરંતુ કોરોનાની સ્થિતિનું આકલન કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. દિલ્હી સરકારે વધુમાં કહ્યુ હતુ કે, આગામી એક સપ્તાહમાં દિલ્હીમાં આઈસીયુ બેડની સંખ્યા વધારી દેવાશે.