મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

પ્રેમ ઇશ્વર સમાન વ્યાપકઃ પૂ. મોરારીબાપુ

ગોકુલ-મથુરામાં આયોજીત 'માનસ પ્રેમસત્ર-૩' ઓનલાઇન શ્રીરામકથાનો આઠમો દિવસ

રાજકોટ, તા.૨૬: 'પ્રેમ ઇશ્વર સમાન વ્યાપક છે' તેમ પૂ.મોરારીબાપુએ ગોકુલ-મથુરા રમણરેતી ખાતે આયોજીત ઓનલાઇન 'માનસ પ્રેમસત્ર-૩'નાં આઠમા દિવસે જણાવ્યુ હતું.

પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે આપણા શરીરના પણ પગમાં ઇજા થાય તો આંખમાં આંસુ આવી જાય છે તેથી શરીરના અંગો એકબીજા સાથે સંકળાયેલા છે.

પૂ.મોરારીબાપુએ જણાવ્યુ કે, શ્રીરામ અને ભરત વચ્ચે અદભુત લાગણીના સંબંધો હતા. ૧૪ વર્ષ પછી ભગવાન શ્રીરામ અયોધ્યામાં આવ્યા ત્યારે શ્રીરામ અને ભરતનું મિલન થયુ હતુ ત્યારે કોણ વનવાસી હતા? તે સૌના મનમાં પ્રશ્ન  મુંજવતો હતો કારણ શ્રીરામ વનવાસ ગયા પછી ભરત પણ અયોધ્યાની બહાર વનવાસીની જેમ ઝૂંપડીમાં રહ્યા હતા.

પૂ.મોરારીબાપુએ કાલે સાતમા દિવસે શ્રીરામકથામાં કહ્યુ હતુ કે, રામાયણમાં આદિ સત્ય, મધ્ય પ્રેમ અને અંત કરૂણા છે. સત્યને ત્યાં જે સંતાન જન્મયું એ છે અભય. સત્યથી અભય જન્મે છે. પ્રેમથી નીકળે એ છે ત્યાગ-સમર્પણ.

રામે ગુહને કહ્યું કે હું માગું છું તારી પાસે કે, જયારે પણ સમય મળે-સદા રહઉ પુર આવન-જાવન. પ્રતિબંધ હટી જાય ને પ્રતિબંધ બની જાય તો પ્રેમ વહે. પ્રેમમાં ઉદ્વૈગ છે.

બીજું છે આશાવંત - તું મળે, ના મળે તારો પ્યાર મળે એ આશાવંતતા. ત્રીજું સમુત્કંઠા એક પ્રકારની તરસ-તલપ, નવી-નવી ઉત્કંઠા. ચોથું છે રસહિન વિરકિત પાંચમો ભાવ છે- માનશૂન્યતા - પ્રેમ મારગમાં પ્રેમી કોઇ સન્માન નથી ઇચ્છતો. છઠું છે - વ્યર્થકાલત્વ. વ્યર્થ સમય વિતાવવો એ અડચણ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે રામ રાજયની સ્થાપના પછી રામજીએ વિભિષણને રાજપાટ આપ્યું. સુગ્રીવને વિદાય આપતા ભરતજીના હાથે સિવેલા વસ્ત્રો આપ્યા. અંગદને ઉરમાલ આપી પણ કોલ-કિરાત. ગુહને શું આપ્યું? રાશન આપ્યું? મકાન બંધાવી દીધા?

ના. જે કેવળ પ્રેમ કરે છે એને પરમાત્મા પણ કંઇ આપી શકતા નથી. ગોપીજનોને ગોવિંદે શું આપ્યું? મીરાને શું આપ્યું? ખોલાઇ ગયાં. વિગલિત થઇ ગયાં. ઓગળી ગયાં બધાં. આ પ્રેમનો પ્રકાર છે જેને મધુવત પ્રેમ કહે છે. મધને વધારે મીઠું બનાવવા એમાં કંઇ ઉમેરવાની જરૂર નથી. મધ સ્વયં મીઠું છે, જેમ અધરં મધુરં.. મધુરાધિપતે રખીલં મધુરં. પ્રેમની બીજી શ્રેણી છે ધૃતવત- ધૃત એટલે ઘી. જેને નારાયણ સ્વરૂપી બતાવાયું છે.

ગઇકાલે પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે કદાચ હું પહેલી વાર કહું છું કે મારા દાદા-ગુરૂ કપાલભાતિ કરતા, મારા પિતાજી પૂજા વખતે પ્રાણાયામ કરતા અને મારા પિતાજી ભાઇ-મારા કાકા ઇશ્વરદાસ બાપુ તો નૌલીચાલ (હાથથી ચાલીને) પરિસરથી મંદિરમાં જતા, મેં દાદાને પુછયું કે આ મારા સ્વભાવમાં નથી ઉતરતુ ત્યારે દાદાએ કહ્યું કે તું કથા કર એમાં બધુ આવી ગયું. સાધુ પ્રચાર નથી કરતો, સંચાર  કરે છે.

ગઇકાલે કથામાં યોગ ઋષિ બાબા રામદેવ પ્રસંગોચિત્ત પ્રવચન અને યોગ પ્રાણાયમ નિદર્શન કર્યુ. તેઓએ જણાવ્યું કે સન્યાસી હોવા છતાં હું બાપુને પ્રણામ કરૂ છું કારણે કે બાપુમાં વ્યકિત નહીં. સંસ્કૃતિ જોઉ છું. બાપુની ઉપસ્થિતિ માત્ર અમારા માટે મોટી શકિત-બળ છે. બાપુના મુખેથી કંઇ પણ સાંભળીએ તો ઉપદેશ છે જ, બાપુનું મૌન પણ અમારા માટે મોટો ઉપદેશ છે.

(2:29 pm IST)