ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે ૬ મહિના માટે એસ્મા લાગુ કરાયો
લખનૌ,તા. ૨૬: યુપીમાં સરકારી કર્મચારીઓ હવે હડતાલ નહીં કરી શકે. યુપી સરકારે આવતા ૬ મહિના સુધી એસ્મા લાગુ કર્યો છે. જે હેઠળ આવશ્યક સેવા સાથે જોડાયેલ કોઇ પણ સરકારી કર્મચારી હડતાલ ઉપર નહીં જઇ શકે અને હડતાલ કરાશે તો તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરાશે.
યુપી સરકારે આ નિર્ણય યુપીમાં વધતા કોરોના મામલાઓને જોતા કર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. આશંકા છે કે એક વાર ફરી કોરોના કહેર વર્તાવશે. જે માટે યુપી સરકારે તૈયારીઓ પુરી કરી લીધી છે. નવેમ્બરમાં એસ્માની મુદત પુરી થાય તે પહેલા જ ફરીથી એસ્મા લગાડી દીધા છે.
યુપીમાં ગઇ કાલે ૨,૩૧૮ નવા કેસ નોંધાયા છે. હાલ કુલ સક્રીય કેસો ૨૪,૮૭૬ છે. મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહને જણાવેલ કે જ્યાં વધુ કેસ છે ત્યાં સેમ્પલ લઇનુ આરટી-પીસીઆઇ ટેસ્ટ કરાવાશે. જેના માટે ૧૫ જીલ્લાઓ અલગ કરાયા છે. જેમાં લખનૌ, કાનપુર શહેર, પ્રયાગરાજ, ગાઝીયાબાદ, ગૌતમબુધ્ધ નગર,ગોરખપુર, વારાણસી, મેરઠ, અલીગઠ, ઝાંસી, સહારનપુર, આગ્રા, બરેલી, મુરાદાબાદ અને મુઝઝફરનગર છે.