શુક્રવારે રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરશે રિઝર્વ બેન્ક
સામાન્ય જનતાને લાગશે વધુ એક ઝટકો!
નવી દિલ્હી,તા.૨૬: : ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ફુગાવાને કાબુમાં કરવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત અન્ય વૈશ્વિક કેન્દ્રીય બેન્કોનું અનુસરણ કરતા શુક્રવારે સતત ચોથીવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેન્કે મોંઘવારી કાબુમાં કરવા માટે રેપો રેટમાં મેથી અત્યાર સુધી ૧.૪૦ ટકાનો વધારો કર્યો છે. આ દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધી ૫.૪૦ ટકા પર પહોંચી ચુક્યો છે. નાણાકીય નીતિ સમિતિ (MPC) ૩૦ સપ્ટેમ્બરે રેપો રેટમાં ૦.૫૦ ટકાની વૃદ્ધિનો નિર્ણય કરી શકે છે. જો આ વધારો થશે તો રેપો રેટ વધીને ૫.૯૦ ટકા થઈ જશે.
રેપો રેટમાં મેમાં ૦.૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જૂન તથા ઓગસ્ટમાં તેમાં ૦.૫૦-૦.૫૦ ટકાનો વધારો થયો હતો. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત રિટેલ ફુગાવામાં મેમાં નરમી આવવા લાગી હતી પરંતુ તે ઓગસ્ટમાં સાત ટકાના દરે પહોંચી ગયો. આરબીઆઈ પોતાની દ્વિવાર્ષિક નાણાકીય નીતિ બનાવતા સમયે રિટેલ ફુગાવા પર ધ્યાન આપે છે. આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક બુધવારે થશે થશે અને રેટમાં પરિવર્તનનો જે પણ નિર્ણય થશે તેની જાણકારી શુક્રવાર ૩૦ સપ્ટેમ્બરે આપવામાં આવશે.
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાષાી મદન સબનવીસે કહ્યુ કે ફુગાવો સાત ટકાના દરે છે અને તેવામાં રેપો રેટમાં વધારો નક્કી છે. રેપો રેટમાં ૦.૨૫થી ૦.૩૫ ટકાની વૃદ્ધિનો અર્થ છે કે આરબીઆઈને તે વિશ્વાસ છે કે ફુગાવાનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યુ છે. તો વિદેશી મુદ્રા વિનિમય બજારમાં હાલના ઘટનાક્રમોને જોતા રેટમાં ૦.૫૦ ટકાનો વધારો પણ થઈ શકે છે. આરબીઆઈનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે છૂટક ફુગાવો ૪ ટકા (બે ટકા ઉપર કે નીચે) રહે.
હાઉસિંગ ડોટ કોમના સમૂહ મુખ્ય કાર્યપાલક અધિકારી ધ્રુવ અગ્રવાલે કહ્યુ કે, ઉંચો ફુગાવો આરબીઆઈ માટે ચિંતાનું મુખ્ય કારણ છે અને રેટમાં વધારાને કારણે બેન્ક હોમ લોન પર વ્યાજ વધારશે. પરંતુ અમારૂ માનવું છે કે તેની વધુ અસર પડશે નહીં કારણ કે સંપત્તિની માંગ બનેલી છે. પરંતુ તહેવારોની સીઝનમાં માંગ વધી શકે છે. ભારતીય સ્ટેટ બેન્કે પોતાના વિશેષ રિપોર્ટમાં કહ્યું હતું કે રેટમાં ૦.૫૦ ટકાનો વધારો નક્કી છે. તેમણે કહ્યું હતું કે રેપોનો સર્વોચ્ચ દર ૬.૨૫ ટકા સુધી જશે અને અંતિમ વૃદ્ધિ ડિસેમ્બરની નીતિગત સમીક્ષામાં ૦.૩૫ ટકાની થશે.