સ્ટાર્ટઅપ્સને ધિરાણ ઉપલબ્ધ કરાવવું જરૂરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અર્થતંત્રને બેઠું કરવા પગલાં મદદરૂપ થશે એવો દાવો : ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાના સાથે બેન્કિંગ તેમજ વીમા ક્ષેત્રમાં જાહેર સાહસની ઉપસ્થિતિ પણ અનિવાર્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના ઉદ્યોગોને ધિરાણ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે અર્થતંત્રને ઝડપથી બેઠું કરવામાં આ પગલું મદદરૂપ થશે. પીએમ મોદીના મતે સ્ટાર્ટઅપ્સ અને ફાઈનાન્શિયલ ટેક્નોલોજી માટે તૈયાર ધિરાણ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાથી અર્થતંત્ર ઝડપથી આગળ ધપશે.
ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસની સાથે સાથે બેક્નિંગ તેમજ વીમા ક્ષેત્રમાં જાહેર સાહસની ઉપસ્થિતિ પણ અનિવાર્ય છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
નાણાં ક્ષેત્રને અનુલક્ષીને બજેટ દરખાસ્તોને માટે યોજાયેલા એક વેબિનારને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિના ટ્રેક પર આવ્યું છે ત્યારે ધિરાણ પ્રવાહ પણ તેટલો જ મહત્વનો બની રહે છે. નવા ક્ષેત્રો અને સાહસો સુધી ધિરાણ પહોંચે તે જોવું જરૂરી છે. સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારી નાણાકીય પ્રોડક્ટ્સ અંગે પણ વિચાર કરવો જોઈએ.
કેન્દ્ર સરકાર પણ નાણાકીય ક્ષેત્રને વાઈબ્રન્ટ, અસરકારક અને મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે. સાચા ઉદ્દેશથી લેવાયેલા વ્યવસાયિક નિર્ણયોની સાથે કેન્દ્ર સરકાર હંમેશા ઉભી રહેશે તેમ વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું.