મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

કોમેડિયન મુનાવર ફારૂકી સાથેના સહ આરોપીઓ સદાકત ખાન, તથા નલિન યાદવના વચગાળાના જામીન મંજૂર : ધાર્મિક લાગણી દુભાવવા બદલ મધ્ય પ્રદેશ પોલીસે ફરિયાદ નોંધી હતી : સુપ્રીમ કોર્ટએ મુનાવરના જામીન મંજુર કરતા મધ્ય પ્રદેશ હાઇકોર્ટે પણ સહ આરોપીઓના જામીન મંજુર કર્યા

ઇન્દોર : મધ્ય પ્રદેશ હાઇકોર્ટએ ધાર્મિક લાગણી દુભાવવાના  કેસમાં ધરપકડ  કરાયેલા કોમેડિયન મુનાવર ફારૂકી સાથેના સહ આરોપીઓ  સદાકત ખાન, તથા નલિન યાદવના વચગાળાના જામીન મંજૂર  કર્યા છે.આ અગાઉ સુપ્રીમ કોર્ટે મુનાવર ફારૃકીના જામીન મંજુર કર્યા હતા.જે બાબતને ધ્યાને લઇ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે પણ સહ આરોપીઓના જામીન મંજુર કર્યા છે.

આ અગાઉ, ઈન્દોરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે 9 ફેબ્રુઆરીના રોજ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.તેઓ 1 જાન્યુઆરી, 2021 થી કસ્ટડીમાં હતા.ન્યાયાધીશ આર્યએ અગાઉ અન્ય બે સહ-આરોપી પ્રખર વ્યાસ અને એડવિન એન્થોનીને ૧૨ ફેબ્રુઆરીએ વચગાળાના જામીન આપ્યા હતા.જે પણ સુપ્રીમ કોર્ટે મુનાવરને આપેલા જામીનને ધ્યાને લઇ મંજુર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટએ મુનાવરને 5 ફેબ્રુઆરીના રોજ વચગાળાના જામીન મંજુર કર્યા હતા.તેને ધ્યાને લઈને સહ આરોપીઓએ પણ જામીન અરજી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)