મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

ગૃહમંત્રી અમિત શાહ ૧ જૂને નવી દિલ્હીમાં પૃથ્વીરાજ ફિલ્મ નિહાળશે

ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર રિલિઝ કરી દેવાયું : : અંતિમ હિંદુ સમ્રાટ વીર પૃથ્વીરાજ ચૌહાણની ગાથામાં અમિત શાહને ખૂબ જ રસ હોઈ અક્ષય-માનુષી છિલ્લરની ફિલ્મનું વિશેષ સ્ક્રિનિંગ રખાયું

નવી દિલ્હી,તા.૨૫ :  અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની અપકમિંગ ફિલ્મ 'પૃથ્વીરાજ'નું નવું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે અને આગામી ૩ જૂનના રોજ આ ફિલ્મ રીલિઝ થશે. આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ફિલ્મ જોવાના છે. એવું કહેવાય છે કે, ફિલ્મની રીલિઝના ૨ દિવસ પહેલા એટલે કે, ૧લી જૂનના રોજ નવી દિલ્હી ખાતે તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે.

આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિત શાહની સાથે અન્ય કેટલાક કેબિનેટ મંત્રી, વરિષ્ઠ રાજનીતિજ્ઞો અને હાઈરેન્ક ધરાવતા બ્યુરોક્રેટ્સ સામેલ થશે.

 જાણવા મળ્યા મુજબ આ ફિલ્મના સબ્જેક્ટ એટલે કે, અંતિમ હિંદુ સમ્રાટ વીર પૃથ્વીરાજ ચૌહાણની ગાથામાં અમિત શાહને ખૂબ જ રસ છે. તેઓ હંમેશા એ વાત પર ભાર આપતા આવ્યા છે કે, ભારતીયોએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા વીરોના ઐતિહાસિક મૂલ્યો અને વીરતા અંગે જાણવું જોઈએ જેમણે મુઘલ શાસક મોહમ્મદ ઘોરી સામે અનેક યુદ્ધ લડીને તેને ધૂળ ચટાડી હતી.

આ ફિલ્મમાં પદ્મશ્રી વડે સન્માનિત અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ પ્લે કર્યો છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ રહેલી માનુષી છિલ્લરે આ ફિલ્મમાં મહારાણી સંયોગિતાનો રોલ ભજવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી આ ફિલ્મને જોશે તેના લીધે ફિલ્મની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને ભારે પ્રમોશન મળશે.

 

(8:16 pm IST)