આનંદો, ગુજરાતમાં દીકરીઓની સંખ્યા વધી
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી જે વર્ષ ૨૦૧૯-'૨૦માં વધીને ૯૫૫ થઈ : ગુજરાતના મહિલા બાળ કલ્યાણ વિભાગનાં પ્રધાન મનીષા વકીલે ગઈ કાલે ગુજરાતની દીકરીઓ સાથે ઓનલાઇન સંવાદ કર્યો
નવી દિલ્હી, તા.૨૫: ગુજરાત માટે આનંદદાયક બાબત છે કે ગુજરાતમાં દીકરીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી જે વર્ષ ૨૦૧૯-'૨૦ વધીને ૯૫૫ થઈ છે. ગુજરાતના મહિલા બાળ કલ્યાણ વિભાગનાં પ્રધાન મનીષા વકીલે આને ગુજરાત માટે આ ગૌરવરૂપ બાબત ગણાવી છે.
ગઈ કાલે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ, કચ્છ સહિત ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓની ૩૬ દીકરીઓ સાથે પ્રધાન મનીષા વકીલે વર્ચ્યુઅલ રીતે સંવાદ કર્યો હતો અને દીકરીઓએ પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી જે હવે વર્ષ ૨૦૧૯-માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ વધીને ૯૫૫ થઈ છે, એ આપણા માટે ગૌરવરૂપ છે.
ગુજરાતમાં દીકરીઓની સંખ્યા વધી હોવા પાછળનાં કારણો જણાવતાં પ્રધાન મનીષા વકીલે ‘કહ્યું હતું કે ‘સમાજમાં હવે દીકરા-દીકરીનો ભેદભાવ ભુલાયો છે. દીકરી ન જન્મે એ માનસિકતામાંથી લોકો બહાર નીકળ્યા છે. સરકાર દ્વારા દીકરીઓના મુદ્દે વિવિધ યોજનાઓ થકી અવેરનેશ ફેલાવાતાં હવે સમાજ પણ આગળ આવ્યો છે, જેના કારણે દ્યણો ફરક પડ્યો છે. કુપોષણની બાબતમાં દ્યણો સુધારો આવ્યો છે. સગર્ભા મહિલાઓની સારસંભાળ અને દરકાર સરકાર સારી રીતે રાખી રહી છે. આંગણવાડીની બહેનો દ્વારા તેમના ડાયટ અને ન્યુટ્રીશ્યન પર તેમ જ તેમના કાઉન્સેલિંગ પર ભાર મુકાયો છે. પ્રેગ્નન્ટ બહેનો પણ હવે જાગૃત થઈ છે એથી મૃત્યુદર ઘટ્યો છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓની ૩૬ દીકરીઓ સાથે મેં સંવાદ કર્યો હતો અને દીકરીઓએ પ્રશ્નો પણ પૂછયાં હતાં.