મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : પોઝિટિવિટી દર 7.15 ટકા: 24 કલાકમાં નવા 3568 કેસ નોંધાયા
સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા શૂન્ય :સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા વધીને ૩૨ થઈ
મુંબઈ :શહેરમાં ગઈ કાલે ૪૯,૮૯૫ લોકોની કોવિડ-ટેસ્ટ કરવા સામે ૭.૧૫ ટકા સાથે કોરોનાના ૩,૫૬૮ કેસ નોંધાયા હતા. જોકે આમાંથી ૮૪ ટકા એટલે કે ૨,૯૯૮ મામલા એસિમ્પ્ટોમૅટિક હતા. ૭૬ દરદીને ઑક્સિજન બેડની જરૂર સાથે કુલ ૪૮૫ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા.
જોકે નવા કેસની સામે ગઈ કાલે ઘણા ઓછા એટલે કે ૨૩૧ દરદી કોરોનામુક્ત થવાથી શહેરમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીની સંખ્યા ઘટીને ૪,૨૯૩ થઈ છે, જે કુલ ઉપલબ્ધ ૩૭,૭૪૬ બેડ સામે ૧૧.૪ ટકા છે.
નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે ઘણા ઓછા દરદી રિકવર થવાની સાથે અત્યાર સુધીમાં ૯,૯૫,૫૬૯ દરદી ઠીક થયા છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭,૪૯૭ થઈ હતી.
ગઈ કાલે ૪૦થી ૬૦ વર્ષની ઉંમરના બે અને આઠ સિનિયર સિટિઝન મળીને ૧૦ દરદીનાં મૃત્યુ થયાં હોવાથી કુલ મૃત્યાંક ૧૬,૫૨૨ થયો છે.
કેસ ઘટવાની સાથે શહેરની રિકવરીની ટકાવારી વધીને ૯૭ ટકા થઈ છે, જ્યારે ૧૦૫ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા શૂન્ય થઈ હતી, જ્યારે સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા વધીને ૩૨ થઈ છે. ગઈ કાલે ૨૫,૫૯૦ હાઈ રિસ્ક લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું, જ્યારે ૫૪૨ હાઈ રિસ્ક દરદીઓ સારવાર હેઠળ હતા.