દેશમાં ઉહાપોહ મચાવનાર હાથરસ ગેંગરેપના ચારેય આરોપીઓને અમદાવાદ લવાયા : નાર્કોટેસ્ટ કરાવાશે
પીડિતાના કુટુંબીજનોના તમામ સભ્યોના પણ ટેસ્ટ થવા જોઈએ: આરોપીની માંગણી
અમદાવાદઃ સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવનારા હાથરસના ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને લઈને સીબીઆઇની ટીમ અમદાવાદ આવી છે. હાથરસની જેલના સૂત્રોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. અમદાવાદમાં આ ચારેય આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ ગેંગરેપ કેસમાં ઘટનાસ્થળે સૌથી પહેલા પહોંચવાનો દાવો કરનારા છોટુ નામનો યુવક પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર હતો.
તેનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમનું સત્ય બહાર આવે તે માટે તે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. તેણે માંગ કરી હતી કે મારા નાર્કો ટેસ્ટની સાથે પીડિતાના કુટુંબીજનોના ટેસ્ટ થવા જોઈએ. યુવકની માતાએ ટેસ્ટની સામે વાંધો ઉઠાવતા પોતાના પુત્રને સગીર ગણાવ્યો હતો
ઉત્તરપ્રદેશના ચંદુપા વિસ્તારના ગામ બુલગઢીમાં યુવતીના પર થયેલા આ રેપની તપાસ સીબીઆઇ કરી રહી છે. ઘટના સમયે જોડેના ખેતરમાં કામ કરી રહેલા યુવક છોટુએ ઘટનાસ્થળે સૌથી પહેલા પહોંચવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેનું ઘર પીડિતાના ઘરની જોડે જ હતુ. તેથી તે ઘટના પછી તરત જ પીડિતાના ભાઈને ઘરે બોલાવવા ગયો હતો.
સીબીઆઇ છોટુની અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે. છોટુના જણાવ્યા મુજબ સીબીઆઈ તેની 20થી વધારે વખત પૂછપરછ કરી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે સીબીઆઇએ ગુરુવારે તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. હવે સીબીઆઇ તેનો નાર્કો-પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની વાત કરી રહી છે. તે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે. તેણે કહ્યું હતું કે તેને સીબીઆઇ પ્રત્યે સન્માન છે અને આ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવે તેમ પણ તે ઇચ્છે. તેથી તેણે તેની સાથે પીડિતાના પરિવારજનોના સભ્યોના ટેસ્ટની પણ માંગ કરી છે
ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં શિકાર બનેલી યુવતીનો 15 દિવસ પછી દિલ્હીની એઇમ્સમાં મોત થયું હતું. તે યુવતી સાથે આચરવામાં આવેલી ક્રૂરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે આરોપીઓએ વારંવાર તેના પર બળાત્કાર કર્યો તો. તે પોતાની જુબાની આપી ન શકે તે માટે તેની જીપ કાપી નાખી હતી. તે ચાલીને ઘર સુધી ન જઈ શકે તે માટે તેના પગ તોડી નાખ્યા હતા, તેની ડોક મરડી નાખી હતી. આટલી ક્રૂરતા પછી પણ તે છેલ્લા શ્વાસ સુધી જીવન માટે લડતી રહી. આ કેસમાં પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે