ભાજપના સાંસદ અર્જુન સિંહ TMCમાં જોડાયા : કહ્યું-ભાજપ માત્ર ફેસબુક પર જ રાજનીતિ કરે છે
અર્જુનસિંહ ટીએમસી સાંસદ અને મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં સામેલ થયા
કોલકતા : પશ્ચિમ બંગાળના બેરકપુરના બીજેપી સાંસદ અર્જુન સિંહ રવિવારે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા TMCમાં જોડાયા હતા. અર્જુન સિંહ ટીએમસી સાંસદ અને મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા અભિષેક બેનર્જીએ ઉત્તર 24 પરગના TMCના નેતાઓ જ્યોતિપ્રિયા મલ્લિક, ધારાસભ્ય પાર્થ ભૌમિક સહિત અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અર્જુન સિંહને ટીએમસીમાં સામેલ કરવા પર સહમતિ બની હતી. જે બાદ અર્જુન સિંહ ઔપચારિક રીતે ટીએમસીમાં જોડાયા. તેમણે કહ્યું કે ભાજપ માત્ર ફેસબુક પર રાજનીતિ કરે છે. તેઓ સંગઠનની રાજનીતિ કરતા હતા.
બાહુબલી ભાજપના સાંસદ અર્જુન સિંહનું ટીએમસીમાં જોડાવું ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ટીએમસીમાં જોડાતા પહેલા અર્જુન સિંહ કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા, ત્યાં તેમની બેઠક થઈ. ત્યારબાદ તેઓ હોટેલથી સીધા કેમેક સ્ટ્રીટ પર ટીએમસીની ઓફિસ ગયા, જ્યાં તેઓ ટીએમસીમાં જોડાયા.
ટીએમસીમાં જોડાયા બાદ અર્જુન સિંહે કહ્યું કે તેઓ ભાજપ છોડીને મમતા બેનર્જીના નિર્દેશ અને અભિષેક બેનર્જીનો સાથ લઈ ટીએમસીમાં જોડાયા છે. તેમણે કહ્યું કે જે રીતે બંગાળને આગળ લઈ જવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં તેઓ રાજકારણ કરી રહ્યા છે. જ્યુટની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવી રહી હતી. 15 જ્યુટ મિલો બંધ થઈ ગઈ છે. સીએમ મમતા બેનર્જીએ જ્યુટ મિલને લઈને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જ્યુટ મિલ બંધ થતાં કામદારો અને ખેડૂતો બધા બરબાદ થઈ જશે.