ભાજપ સત્તા મેળવવા, કોંગ્રેસ સત્તા જાળવવાના પ્રયાસમાં
સોફટ હિન્દુત્વથી કર્ણાટકમાં BJPને હરાવવા રાહુલની તૈયારી
બેંગાલુરૂ તા. ૨૨ : ગુજરાત બાદ હવે દેશના બે સૌથી મોટા રાજનૈતિક પક્ષો ભાજપ અને કોંગ્રેસની નજર હવે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર છે. એક તરફ જયાં ભાજપ અહીં પોતાની સરકાર બનાવવાની રણનીતિમાં જોતરાઈ છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ સામે સત્તાને જાળવી રાખવાનો પડકાર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી સામે આ સૌથી મોટી પરીક્ષા છે.
ગુજરાતમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને જોતા માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ કર્ણાટકમાં પણ 'ટેમ્પલ રન'ની રણનીતિ અપનાવી શકે છે. ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે આની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આના દ્વારા પાર્ટી સોફટ હિન્દુત્વ કાર્ડ રમીને ભાજપને હરાવવાની તૈયારીમાં છે.
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું. આનો શ્રેય રાહુલના મંદિર-મંદિર જવાની રણનીતિને પણ મળ્યો. આવામાં કર્ણાટકની લડાઈ પણ ખૂબ જ મહત્વની છે. દેશભરમાં સમેટાઈ રહેલી કોંગ્રેસ કોઈપણ ભોગે અહીં સત્તા બચાવવાના પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ 'ટેમ્પલ રન' દ્વારા કોંગ્રેસના સંભાવિત ફાયદાનો શ્રેય લેવા માટે પ્રદેશના દિગ્ગજ નેતાઓમાં હોડ લાગી છે. કહેવાઈ રહ્યું છે કે, આને કારણે નેતાઓમાં કોલ્ડ વોર થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાની સાથે જ ઘણા વરિષ્ઠ નેતાઓ આને લાભ ખાટી લેવાની તૈયારીમાં છે.
જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ૧૦ ફેબ્રુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી કર્ણાટકની મુલાકાત લેશે. પ્રચાર સભા અને અલગ-અલગ સંવાદ સભા કાર્યક્રમોને હજુ આખરી ઓપ આપવાના બાકી છે. બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા અને અન્ય નેતાઓના ઝઘડાને કારણે ગૂંચવણની સ્થિતિ છે. આવામાં પાર્ટીની ફજેતી પણ થઈ રહી છે.
પાર્ટીના સૂત્રો અનુસાર, હેડકવાર્ટરથી સંદેશ મળ્યા બાદ પાર્ટીના સ્થાનીક નેતાઓ પણ સોફટ હિન્દુત્વ પર ફોકસ કરવા લાગ્યા છે. આ રણનીતિ પાછળ ભાજપને તેની ભાષામાં જવાબ આપવાનો હેતુ છે. પાર્ટી માની રહી છે કે, આ માટે ગુજરાતની રણનીતિ કારગત છે.
રાહુલ ગાંધી ટેમ્પલ રન કરશે તે તો નક્કી માનવામાં આવી રહ્યું છે પણ તેની શરૂઆત કયાંથી કરવી તે અંગે હજુ પણ પાર્ટી અસમંજસમાં છે. આ માટે ઘણી સ્થળો પર વિચાર ચાલી રહ્યા છે. આમાં સીએમ સિદ્ઘારમૈયાના મૈસૂર અને મલ્લિકાર્જુન ખડગેના કલબુર્ગી-બીદર ક્ષેત્રની પણ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ઉડુપી શ્રીકૃષ્ણ મંદિરથી પણ રાહુલ શરૂઆત કરી શકે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે.સી વેણુગોપાલ ઈચ્છે છે કે, ગત ચૂંટણીમાં પાર્ટીને જે ક્ષેત્રમાંથી સૌથી વધુ સીટો મળી છે એવા કલબુર્ગીથી રાહુલ ગાંધી શરૂઆત કરવી જોઈએ.
સૂત્રો જણાવી રહ્યાં છે કે, મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાની ગણતરી અલગ છે અને તેઓ ઈચ્છે છે કે, રાહુલ મૈસૂરથી પ્રારંભ કરે. મૈસૂરમાં વિશ્વ પ્રસિદ્ઘ ચામુંડેશ્વરી માતાના મંદિરે દર્શન કરી શરૂઆત કરવાથી હિન્દુઓમાં એક સકારાત્મક સંદેશ જશે. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ ડો.જી. પરમેશ્વરા તુમકુર સિદ્ઘગંગા મઠથી રાહુલની યાત્રા શરૂ કરાવવા માગે છે. આ મઠ તમામ જાતિ-ધર્મના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
ઉડુપીમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે જયાં રાહુલનું જવું નક્કી છે. પરંતુ આ યાત્રામાં રાહુલની સાથે સીએમ સિદ્ઘારમૈયા જાય તેવી શકયતા ઓછી છે. અસલમાં સિદ્ઘારમૈયાને ઉડુપી અષ્ઠમઠ સાથે જૂનો મતભેદ છે. એકવાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી ઉડુપીમાં હતા અને ત્યાં રાજય સરકારનો કાર્યક્રમ હતો. પણ સિદ્ઘારમૈયા ગેરહાજર હતા. બીજી તરફ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે કે, જો આ વખતે સિદ્ઘારમૈયા રાહુલ સાથે ઉડુપી નહીં જાય તો પાર્ટીને દ્યણું નુકસાન થશે.