મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

તાલિબાનના સમર્થનમાં પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ આવ્યા

તાલિબાનો સાથે હાથ મિલાવ્યો : રિપોર્ટ : અહમદજઈએ તાલિબાની હુકુમતને સમર્થનની જાહેરાત કરી ત્યારે તાલિબાન નેતા ખલીલ ઉર રહેમાન ઉપસ્થિત

કાબુલ, તા.૨૧ : તાલિબાને કબજો કરતા ડરીને અફઘાનિસ્તાન છોડીને ભાગી જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીને મોટો ફટકો પડ્યો છે. અશરફ ગનીના ભાઈ હશમત ગની અહમદજઈએ તાલિબાની હુકુમતને સમર્થનની જાહેરાત કરી હતી. તે સમયે તાલિબાનના નેતા ખલીલ ઉર રહેમાન અને ઇસ્લામિક વિદ્વાન મુફ્તી મહમૂદ જાકિર ઉપસ્થિત હતા.

હશમત ગની તાલિબાન સાથે મળી જતા અશરફ ગની માટે શરમજનક સ્થિતિ બની છે. અશરફ ગનીને અફઘાનિસ્તાન છોડવાની સાથે ખબર આવી હતી કે તે ૧૨ અબજ ૫૭ કરોડ રૂપિયા લઇને ફરાર થયા છે. જોકે વિશે અશરફ ગનીએ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. અશરફ ગનીએ કહ્યું હતું કે તે પોતાના બૂટ પણ પહેરી શક્યા હતા અને અફઘાનિસ્તાન છોડવા મજબૂર થવું પડ્યું હતું.

અશરફ ગનીએ દેશ છોડ્યા પછી કહ્યું હતું લોકોનો જીવ બચવા માટે મેં વિચાર્યું કે બહાર નીકળી જવું સૌથી સારો વિકલ્પ છે. તાલિબાને તલવાર અને બંદૂકોથી જીત મેળવી છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર છે. બીજી તરફ અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલા ૧૫૦ લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય  છે. તેમની સાથે અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે.

આખો મામલો મીડિયામાં આવ્યા બાદ તાલિબાને આવી કોઈ ઘટના બની હોવાનો ઇક્નાર કર્યો છે. તાલિબાન પ્રવક્તા અહમદુલ્લા વસીકે અપહરણના સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અહમદુલ્લા વસીકે જણાવ્યું કે, તાલિબાને સુરક્ષિત રીતે બીજા ગેટથી લોકોને અરપોર્ટની અંદર પહોંચાડ્યા હતા.

(8:34 pm IST)