સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને નૈમિષારણ્યમાં ઓનલાઇન શ્રીરામ કથાનો પ્રારંભ
રાજકોટ તા. ૨૧ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજે શનિવારે સાંજે ૪ વાગ્યાથી ઉત્તરપ્રદેશના નૈમિષારણ્યમાં ઓનલાઇન શ્રી રામકથાનો પ્રારંભ થશે.
ઉત્તર પ્રદેશથી ૮૦ કિ.મી. દુર સિતાપુર જિલ્લામાં ગોમતી નદીના કાંઠે નૈમિષારણ્ય હિન્દુ વૈદિક, સનાતન ધર્મ પરંપરાના તીર્થ સ્થાન ખાતે તા. ૨૧ના બપોરે ૪ થી ૭થી મોરારીબાપુની નવ દિવસીય ઓનલાઇન રામકથા યોજાઇ રહી છે. તા. ૨૨થી સવારે ૧૦ થી ૧ આ કથાનો સમય રહેશે. જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી તેમજ યુ-ટયૂબ પર થશે.
નૈમિષારણ્યમાં ચક્રતીર્થ, વ્યાસગાદી, મનુ-શતરૂપા તપોભૂમિ, હનુમાનગઢી વગેરે દર્શનીય સ્થળો છે અહીં એક સરોવર છે જેનો મધ્ય ભાગ ગોળાકાર છે જેમાંથી નિરંતર અખૂટ જળપ્રવાહ વહેતો રહે છે.
આધ્યાત્મિક ઇતિહાસ એવો છે કે મહર્ષિ શૌનકને એવો મનોરથ થયો કે ઋષિઓના તપ-સત્સંગ યુગાંતરો સુધી ચાલતા રહે એવું જ્ઞાનસત્ર થાય, તેણે વિષ્ણુ ભગવાનની કઠીન આરાધના કરી, વિષ્ણુ ભગવાનને પ્રસન્ન થઇ એક ચક્ર આપતા કહ્યું કે, આ ચક્ર ચલાવતા આગળ જાઓ જયાં આ ચક્રની પરિધિ નીચે પડે ત્યાં તપસ્યા માટેની ઉત્તમ અને પવિત્ર ભૂમિ છે.