૩.૮૬ કરોડ લોકોએ બીજા ડોઝમાં મોડું કરીને જોખમ વધાર્યુ
ડેલ્ટા વેરીયેંટના પ્રસારને ધ્યાનમાં લેતા આ પરિસ્થિતી ખતરનાક
નવી દિલ્હી, તા.૨૧: કોરોના સંક્રમણ સામે મજબૂત પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરવા માટે સંપૂર્ણ રસીકરણ અત્યંત જરૂરી છે. એક આરટીઆઇ અનુસાર ૩.૮૬ કરોડથી વધારે ભારતીય લોકોએ રસીનો બીજો ડોઝ લેવામાં મોડું કર્યુ. કોરોનાના ડેલ્ટા વેરીયેંટના પ્રસારને ધ્યાનમાં લેતા આ ખતરનાક સાબિત થઇ શકે છે.
નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યુ છે કે રસીનો સંપૂર્ણ ફાયદો મેળવવા માટે સમયસર બીજો ડોગ્ લેવો બહુ મહત્વપૂર્ણ છે. ડેલ્ટા વેરીયેંટના જોખમને જોતા તે વધારે જરૂરી છે. વિભીન્ન રીસર્ચમાં એ સામે આવ્યું છે કે બંને ડોઝ નક્કી કરાયેલ સમયમર્યાદામાં લેવા વધારે અસરકારક છે. જો કે તેમાં થોડું મોડું થાય તો પણ બહુ ગભરાવાની વાત નથી. ના તો તમારો પહેલો ડોઝ બિનઅસરકારક થશે, ના તો તમારે નવેસરથી રસીકરણ કરાવવાની જરૂર પડશે. નક્કી કરાયેલ તારીખથી ૧૦ થી ૧૫ દિવસ મોડો બીજો ડોઝ લગાવવાથી પણ એટલો જ ફાયદો મળશે.
બીજો ડોઝ બુસ્ટર ડોઝનું કામ કરે છે. તે કોરોના વિરોધી એન્ટીબોડીનું લેવલ વધારે છે. એટલું જ નહીં પ્રતિરોધક તંત્રમાં મેમોરી-બી સેલનું ઉત્પાદન પણ કરે છે. મેમોરી -બી સેલ એક પ્રકારના શ્વેત કણ છે.
- કઇ રસીમાં બે ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર
કોવિશિલ્ડઃ ૮૪ થી ૧૧૨ દિવસ વચ્ચે બીજો ડોઝ લેવો જોઇએ
કોવેકસીનઃ કોવેકસીના બંને ડોઝ વચ્ચે ૨૮ થી ૪૨ દિવસનું અંતર રાખવું જોઇએ.
સ્પૂતનિકઃ સ્પૂતનિક રસીનો પહેલો ડોઝ લીધા પછી ૨૧ દિવસમાં બીજો ડોઝ લેવો જરૂરી