મહિલા સાંસદ નવનીત રાણાના ફ્લેટ પર ચાલશે શિવસેનાનું બુલડોઝર? : BMCએ નોટિસ જારી કરી સાત દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો : રાણા દંપતીએ ગયા મહિને સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી
મુંબઈ : BMCએ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મુંબઈમાં તેમના ફ્લેટમાંથી અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. BMCએ કહ્યું છે કે જો તેઓ તે બાંધકામ નહીં હટાવે તો BMC તેને હટાવી દેશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ જારી કરી છે.
BMCએ રાણા દંપતીને સાત દિવસમાં તેમના ફ્લેટમાંથી અનધિકૃત બાંધકામ હટાવવાનો સમય આપ્યો છે. નોટિસ અનુસાર, જો સાત દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો BMC કાર્યવાહી કરશે. BMCએ કહ્યું કે જો અનધિકૃત બાંધકામ દૂર કરવામાં ન આવે તો તેઓ તે બાંધકામ જાતે હટાવી શકે છે અને આ કિસ્સામાં ફ્લેટ માલિકને એક મહિનાની જેલ પણ થઈ શકે છે. નોંધનીય છે કે બીએમસીએ રાણા દંપતીને અગાઉ પણ નોટિસ મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે, નવનીત અને રવિ રાણા ગયા મહિને હનુમાન ચાલીસાને લઈને વિવાદમાં આવ્યા હતા. રાણા દંપતીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની સામે હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ પછી મહારાષ્ટ્ર પોલીસે રાજ્યનું વાતાવરણ બગાડવાના આરોપમાં રાણા દંપતીની ધરપકડ કરી હતી. તેના પર અન્ય આરોપો સાથે રાજદ્રોહનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો. રાણા દંપતી મેના પ્રથમ સપ્તાહમાં જેલમાંથી મુક્ત થયા હતા. તેવુંએચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.