ભારતીય સેનાએ ૨.૫ વર્ષથી સૈનિકોની ભરતી કરી નથી
જો ભરતી શરૂ નહીં થાય તો આ વર્ષના અંત સુધીમાં જવાનોની ખાલી જગ્યાઓની સંખ્યા બે લાખને આંબી શકે છે : દર વર્ષે ૬૫ હજાર જવાનો નિવૃત થઇ રહ્યા છે
નવી દિલ્હી,તા. ૨૧: સેનામાં જવાનોની ભરતી અઢી વર્ષથી બંધ છે. કોરોના મહામારીની શરૂઆત પહેલા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સેનામાં ૮૦ હજારથી વધુ જવાનોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ ત્યારપછી કોઈ ભરતી થઈ નથી. સૂત્રોનું માનવું છે કે જો ભરતી શરૂ નહીં થાય તો આ વર્ષના અંત સુધીમાં જવાનોની ખાલી જગ્યાઓની સંખ્યા બે લાખને આંબી શકે છે.
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચમાં સંસદના સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા આ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવા છતાં, ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા પ્રાપ્ત થઈ નથી. તેથી ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ યથાવત છે.
સંરક્ષણ મંત્રાલય વતી માર્ચમાં સંસદમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૯-૨૦ દરમિયાન સેનામાં ૮૦૫૭૨ ભરતી થઈ હતી. આ પછી કોરોના રોગચાળાને કારણે ભરતી અટકાવી દેવામાં આવી હતી. ત્યારપછી સૈનિકોની ભરતી થઈ નથી.
સૂત્રોએ જણાવ્યું કે દર વર્ષે ૬૦-૬૫ હજાર જવાન નિવૃત્ત થાય છે. આની ભરપાઈ કરવા માટે, દર વર્ષે સમાન સંખ્યામાં ભરતી કરવી જરૂરી છે. કેટલીકવાર કેટલીક નવી બટાલિયન બનાવવામાં આવે છે, પછી તેના માટે અલગથી ભરતી કરવામાં આવે છે. તેથી, દર વર્ષે ભરતીની સંખ્યા ૬૦-૮૦ હજારની વચ્ચે છે.
જયારે માર્ચમાં સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં જવાનોની ૮૧,૦૦૦ જગ્યાઓ ખાલી હતી. જે બાદ આ સંખ્યા સતત વધી રહી છે. માર્ચમાં આ સંખ્યા ૧.૨૫ લાખથી વધુ હોવાનો અંદાજ હતો. સેનાનું અનુમાન છે કે જો આ વર્ષે પણ ભરતી નહીં થાય તો વર્ષના અંત સુધીમાં ખાલી જગ્યાઓ બે લાખ સુધી પહોંચી જશે.
દેશની સુરક્ષા માટે સેનામાં ભરતી જરૂરી છે ત્યારે યુવાનો માટે રોજગારીનું મુખ્ય સાધન પણ છે. સેનામાં ભરતી માટે યુવાનોમાં આકર્ષણ છે અને આ માટે તેઓ મહિનાઓ સુધી શારીરિક કસરત કરે છે. એટલા માટે સેના દેશના દરેક ખૂણે ખૂણે ભરતી રેલીઓનું આયોજન કરે છે. દર વર્ષે આવી ૯૦-૧૦૦ રેલીઓ યોજાય છે. રેલીમાં સાત-આઠ જિલ્લા સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ભરતી બંધ છે અને ભરતી પ્રક્રિયા શરૂ થવાથી માંડીને ભરતીમાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગે છે. આ પછી, જવાનોને તાલીમ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેમને તૈનાત માટે લાયક બનાવવામાં બે વર્ષનો સમય લાગે છે. પહેલેથી જ અઢી વર્ષનો વિલંબ છે. જો આજથી ભરતી શરૂ થાય તો જવાનને યુદ્ધ લાયક બનાવવામાં અઢી વર્ષ વધુ લાગશે.
સેનાના પુનર્ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. સેનાને યુદ્ધ જૂથમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે અને ત્રણેય સેવાઓનું એકીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. ટેકનોલોજીકલ બદલાવ અને બદલાતા સંજોગોને કારણે ઘણી જગ્યાએ સૈનિકોની જરૂર નથી. આથી એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પોસ્ટમાં ઘટાડો કાયમી હોઈ શકે છે. આ પહેલા તત્કાલિન સીડીએસ જનરલ બિપિન રાવતે પણ સંસદીય સમિતિ સમક્ષ કહ્યું હતું કે સૈનિકોની સંખ્યા ઘટાડીને ત્રણ લાખ કરવામાં આવી શકે છે.
સેનામાં એક તૃતિયાંશ સૈનિકોની નિવૃત્તિ વય વધારીને ૫૫ વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેના અમલીકરણથી ખાલી જગ્યાઓમાં ઘટાડો પણ થઈ શકે છે. હાલમાં, મોટાભાગના જવાનો ૩૮-૪૦ વર્ષની વયે નિવૃત્ત થાય છે.