ભારતીય પરિવારો વધતા ખર્ચાથી પરેશાન
આવક વધી નથી પણ મોંઘવારી ખ્વધી
નવી દિલ્હી, તા.૨૧: આઇએએનએસ- સી વોટર સર્વે અનુસાર ભારતીય પરિવારો વધી રહેલા ખર્ચથી પરેશાન દેખાઇ રહ્યા છે પછી ભલે તેમની આવક ઘટી હોય કે છેલ્લા એક વર્ષથી સ્થીર રહી હોય. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ તથા કેન્દ્રશાસીત પ્રદેશ પોંડીચેરીમાં સીવોટર દ્વારા કરવામાં આવેલ એક ખાસ સર્વેમાં આ વાત સામે આવી છે. લોકોને ઘણા મુદાઓ પર ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં સામાજીક, રાજકીય અને આર્થિક મુદાઓ હતા.
રાજય સરકારો અને મુખ્ય પ્રધાનોએ પ્રદર્શન રેટીંગ પર ઘણો સારો સ્કોર કર્યો છે. સામાન્ય મતદારનું માનવું છે કે ૨૦૨૧માં ચુંટણી થયા પછીથી તેમના પરિવારની નાણાકીય સ્થિતી ખરાબ થઇ ગઇ છે. આસામમાં લગભગ ૫૧ ટકા લોકોએ કહ્યું કે પરિવારનો ખર્ચ વધી ગયો છે જયારે આવક ખરેખર ઘટી છે. તો સર્વેમાં જવાબ આપનારા ૧૯ ટકા લોકોએ કહ્યું કે પરિવારની આવક સ્થિર રહી છે. જયારે ખર્ચ વધી ગયો છે. અન્ય રાજયોમાં પણ કહાણી બહુ અલગ નથી, જયાં ૨૦૨૧માં ચૂંટણી થઇ હતી. પશ્ચિમ બંગાળમાં ૪૬.૫ ટકા લોકોએ કહ્યું કે ગયા એક વર્ષમાં પારિવારીક આવક ઘટી છે અને ખર્ચ વધી ગયો છે તો ૩૧.૫ ટકા લોકોએ દાવો કર્યો કે આવક સ્થિર છે પણ ખર્ચ વધી ગયો છે.
તો દક્ષિણના મતદારોની વાત પણ લગભગ આવી જ છે. કેરળમાં ૩૯ ટકા જવાબ આપનારાઓએ કહ્યું કે તેમની આવક ઘટી અને ખર્ચ વધ્યો છે જયારે ૩૪ ટકા જવાબ આપનારાઓએ દાવો કર્યો કે તેમની આવક સ્થિર છે અને ખર્ચ વધી ગયો છે. તમિલનાડુમાં ૩૯ ટકા જવાબ આપનારા લોકોએ કહ્યું કે ખર્ચ વધી ગયો છે જયારે આવક ઘટી ગઇ છે. અન્ય ૩૫ ટકાએ કહ્યું કે વ્યકિતગત આવક સ્થીર છે પણ પરિવારનો ખર્ચ વધી ગયો છે