PM મોદી સાથેની મુલાકાત દરમિયાન યોગ ગુરુ રામદેવ-આચાર્ય બાલકૃષ્ણ હાથ જોડીને હસતા જોવા મળ્યા
પીએમ મોદી સાથે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે
નવી દિલ્હી, તા.૨૧: યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની તસવીર સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી હતી. બાબા રામદેવ વધતી મોંઘવારી માટે સોશિયલ મીડિયા પર તેમના વિરોધીઓ દ્વારા ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં, યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર બાબા રામદેવનું નિવેદન અને પછી હવે બાબા રામદેવના મૌન પર તેમના વિરોધીઓ તેમને ટ્રોલ કરી રહ્યા છે.
મીટિંગ બાદ બાબા રામદેવે ટ્વીટ કરીને લખ્યું કે, ભગવાન સમાન રાષ્ટ્ર ઋષિ શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દેશ માટે ભગવાનનું વરદાન છે. આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં યોગ, આયુર્વેદ, સ્વદેશી શિક્ષણ અને સ્વદેશી દવા વિશે તમારી પાસેથી સંવાદ અને પ્રેરણા મેળવીને હું અભિભૂત છું. તે જ સમયે, સ્વામી રામદેવે પીએમ સાથેની મુલાકાત દરમિયાન હસતા હોવાની તસવીર પણ પોસ્ટ કરી હતી.
બાબા રામદેવની તસવીર પર ટિપ્પણી કરતાં રવિશ કુમાર નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, જુઓ મોદીજી, અમે પણ ૨૦૧૪માં તમારી સરકાર બનાવવામાં યોગદાન આપ્યું છે. જો મોદી સરકાર બનશે તો અમને ૩૫ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળશે, અમે આ જુઠ્ઠાણું જનતાને કહ્યું. હવે કહો કે અમારું યોગદાન શું છે. બીજી તરફ મોહમ્મદ ઉસ્માન નામના ટ્વિટર યુઝરે આ ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, બે બાઇકર્સ ડીઝલ-પેટ્રોલના ભાવ ઘટવાની ઉજવણી કરી રહ્યાં છે.