પશ્ચિમ બંગાળમાં પ્રચાર ચરમસીમાએ :ભાજપ સમર્થકોની રેલીમાં ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો કો’ના નારા
ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે કહ્યું -હાલમાં ભાજપ કોઈ પણ મુખ્યમંત્રી ચહેરાને આગળ કરીને ચૂંટણી લડશે નહીં
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચરમ પર છે. ટીએમસી અને ભાજપે એક બીજા વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. એવામાં ક્યારેક ‘બાહરી’ તો ક્યારેક ‘દેશ વિરોધી’ એક બીજાને પક્ષો કહી રહ્યા છે. 20 જાન્યુઆરીના રોજ હુગલી જિલ્લાના ચંદનનગરમાં ભાજપ સમર્થકોની રેલીમાં ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો કો’ના નારા લાગ્યા હતા. તેની સાથે આ સમર્થક ‘જો હમસે ટકરાઇગા ચૂર-ચૂર હો જાએગા’ના નારા પણ લગાવી રહ્યા હતા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં દરરોજ કંઇક નવું આવી રહ્યુ છે. એવામાં 20 જાન્યુઆરીએ સમાચાર મળ્યા કે ટીએમસીના વધુ એક ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં સામેલ થઇ શકે છે
ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થનાર સુવેંદુ અધિકારીએ પોતાના સાથી અને ટીએમસી અધ્યક્ષ સુબ્રતા બક્શી પર નિશાન સાધ્યું. સુવેંદુનું કહેવુ છે કે સુબ્રતાએ નારા લગાવ્યા કે- જય શ્રી રામ નહીં ચાલે. હવે સુવેંદુ કહે છે કે પશ્ચિમ બંગાળની જનતા આ પ્રકારના નારા લગાવનારને પાઠ ભણાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેઓ સુવેંદુના ગઢ એટલે ‘નંદીગ્રામ’માંથી ચૂંટણી લડશે. ત્યારે સુવેંદુએ જણાવ્યું કે ભાજપના કોઇ પણ કેન્ડિડેટને નંદીગ્રામથી જીત મેળવવી તેમની જવાબદારી છે, તેની સાથે જ ફરી ‘જય શ્રી રામ’નો નારો લગાવ્યો. તેમણે જણાવ્યું કે, દીદી (મમતા બેનરજી)એ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને 62 હજાર મતોથી વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, મારી પાસે 2.13 લાખ લોકો એવા છે જે જય શ્રી રામના નારા લગાવે છે.
20મી જાન્યુઆરીએ જ પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે સ્પષ્ટ કર્યું કે હાલમાં ભાજપ કોઈ પણ મુખ્યમંત્રી ચહેરાને આગળ કરીને ચૂંટણી લડશે નહીં. તેમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટી કોઈ ચહેરો રજૂ નથી કરી રહી, બહુમતી પ્રાપ્ત કર્યા પછી નેતૃત્વ અને ધારાસભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવશે.