મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

રામ રાખે તેને કોણ ચાખે :મોતના 45 મિનિટ બાદ જીવતી થઇ મહિલા ! : હાર્ટએટેકથી થયું હતું મૃત્યુ

કૈથીની દીકરી પ્રેગ્નન્ટ હતી.લેબર પેઈન શરૂ થતા તે પોતાની દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી હતી : નવજીવન મળ્યા બાદ તેમની દીકરીએ એક બાળકીને જન્મ આપ્યો,

મુંબઈ :  રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે. અને ઘણીવાર આવા ચમત્કાર જોયા પણ હશે કે જેને ભગવાન બચાવવા માંગે છે તેને કોઈ મારી નથી શકતું. પરંતુ એ ક્યારેય નથી સાંભળ્યું હોય કે મરીને કોઈ જીવતું થયું હોય. અમેરિકાના મેરીલેન્ડની કૈથી પેટન સાથે કંઈક આવી જ ઘટના બની જે ચમત્કારથી ઓછી ન હતી.કૈથી પોતાના મોતના 45 મિનિટ બાદ જીવતી થઇ ગઈ હતી

આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, મહિલાનું મોતના 45 મિનિટ બાદ જીવતું થવું કોઈ ચમત્કારથી ઓછું ન હતું. એક ઓનલાઇન સાઈટ મુજબ, કૈથીની દીકરી પ્રેગ્નન્ટ હતી.લેબર પેઈન શરૂ થતા તે પોતાની દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તેમને હાર્ટ એટેક આવે છે.

કૈથી તે સમયે ગોલ્ફ રમી રહી હતી, જયારે તેમને તેમની દીકરીનો ફોન આવે છે. તે જ સમયે તે ત્યાંથી રવાના થઇ જાય છે અને દીકરીને લઈને હોસ્પિટલ આવે છે. હોસ્પિટલમાં દીકરીને ડિલિવરી માટે દાખલ કરે છે અને તે જ સમયે કેથીને હાર્ટ એટેક આવે છે અને તેનું મોત થઇ જાય છે. ડોક્ટરોએ કેથીના ધબકારા ચેક કર્યા તો તે બંધ થઇ ગયા હતા અને મગજ સુધી ઓક્સિજન પણ નહોતો પહોંચી રહ્યો હતો. ડોક્ટરોએ તેમની સ્થિતિ જોઈ અંતિમ પ્રયાસ કરતા સીપીઆર આપવાનું શરૂ કર્યું.

લગભગ એક કલાક સુધી ડોક્ટર્સ કૈથીને સીપીઆર આપતા રહ્યા. તે દરમ્યાન લગભગ 45 મિનિટ બાદ કેથીના શ્વાસ ફરી ચાલવા લાગ્યા, તેમના ધબકારા ફરી પાછા આવ્યા. ડોક્ટર્સે એકવાર ફરી તેમને ચેક કર્યા અને ત્યારબાદ ચમત્કારની પુષ્ટિ કરી કે તેઓ ફરી જીવિત થઇ ગયા છે. નવજીવન મળ્યા બાદ તેમની દીકરીએ એક બાળકીને જન્મ આપ્યો, કૈથી આ ઘટના બાદ ભગવાનનો આભાર માનતા થાકતી નથી. તેમનું કહેવું છે કે તેમને માત્ર પૌત્રીનો ચહેરો જોવા માટે જ નવજીવન મળ્યું છે.

(8:11 pm IST)