રાહુલ ગાંધીની રાષ્ટ્રવ્યાપી ‘‘ભારત જોડો યાત્રા'': કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા-લોકો વચ્ચે જવા કવાયત
ગાંધી જયંતિથી કન્યાકુમારીથી પ્રારંભઃ કાશ્મીર સુધીની પાંચ મહિનાની યાત્રા ૧ર થી વધુ રાજયોમાં ફરશેઃ પદયાત્રા-રેલીઓ-જનસભા યોજાશે : સોનીયા-પ્રિયંકા સહિતના ટોચના નેતાઓ જોડાશેઃ ઉદયપુર ચિંતન શિબીરમાં કોંૅગ્રેસે ત્રણ નવા વિભાગો સ્થાપીત કરવાની ઘોષણા કરી
નવી દિલ્હી તા. ર૦: ગાંધી જયંતિ ર ઓકટોબરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકો સાથે સંબંધો સ્થાપીત કરવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘ભારત જોડો યાત્રા'' નામના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરશે.
ઉદયપુર ખાતેની ચિંતન શિબીરના સમાપન દરમિયાન પાર્ટી અધ્યક્ષ સોનીયા ગાંધીએ ભારત જોડોના નારા સાથે ધ્રુવીકરણની રાજનીતીનો મુકાબલો કરવા આ જન અભિયાનની જાહેરાત કરી હતી. પાર્ટીના સુત્રો મુજબ પાંચ મહિનાની યાત્રા ૩પ૦૦ કિ.મી. કાપી એક ડઝનથી વધુ રાજયોમાંથી પસાર થશે.
કન્યાકુમારીથી શરૂ થનાર યાત્રામાં સોનીયા, પ્રિયંકા સહિત કોંગ્રેસના ટોચના નેતા સામેલ થશે. યાત્રા દરમિયાન પદયાત્રા, રેલીઓ અને જનસભાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રામાં સમાન વિચારસરણીવાળા પક્ષો, સભ્યો અને સંગઠનો પણ જોડાશે. સૂત્રો મુજબ યુનિર્વસીટીના પ્રોફેસરો સહિત વિભીન્ન નાગરીકો યાત્રાની જાહેરાત પહેલા જ પાર્ટીનો સંપર્ક કર્યો હતો. જો કે કોંગ્રેસ પોતાના તંત્ર ઉપર કામ કરી રહી છે.
દરમિયાન એસાઇસીસીના મહાસચિવ અને મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ એ પણ ઘોષણા કરી હતી કે, રાજસ્થાનમાં ત્રણ દિવસીય ચિંતન શીબીર દરમિયાન અપનાવાયેલ ઉદયપુર ઘોષણા પત્રના નિર્ણય ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ બે દિવસીય રાજય સ્તરીય શિબીર આયોજીત કરશે. પાર્ટીની જાહેરાત મુજબ, કોંગ્રેસ બધા સમાન વિચારધારા વાળા પક્ષો સુધી પહોંચી જશે અને ગઠબંધન માટે તૈયાર છે.
ઘોષણામાં કોંગ્રેસ પાર્ટીએ ત્રણ નવા વિભાગ સ્થાપીત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સાર્વજનિક અંતદ્રષ્ટી, ચુંટણી પ્રબંધન અને રાષ્ટ્રીય પ્રશિક્ષણ સામેલ છે. ઉદયપુર ચિંતન શિબીરમાં કોંગ્રેસે મોટા નિર્ણયો કર્યા છે. જેમાં બધા સ્તરોએ પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ૦ ટકા પ્રતિનિધિત્વ આપવું પણ સામેલ છે.
ઉપરાંત કોઇપણ વ્યકિતને પ વર્ષથી વધુ પદ ઉપર ન રહેવા, નવા લોકોને અવસર આપવા, ૧ વ્યકિત-૧ પદ, ૧ પરિવાર-૧ ટિકીટના નિયમો લાગુ કરવા અને પાર્ટીની અંદર પ વર્ષ કામ કર્યા બાદ જ પરિવારના અન્ય સભ્યને ટીકીટ આપવાનું નકકી કરાયેલ.